Arvind Kejriwal Gujarat Visit: દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે ભાવનગર ખાતે સરકારી ભરતીને લઈને અનેક જાહેરાતો કરી હતી. આ ઉપરાંત તેમણે કાર્યક્રમ સ્થળ પર આવતા પહેલા ભાવનગરના યુવરાજ સાથે પણ મુલાકાત કરી હતી. આજે પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે, આઝાદી બાદ સૌ પ્રથમ મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલજીએ પોતાની સિયાસત સરદાર પટેલને સોંપી હતી. હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે, દેશપ્રેમ માટે પોતાનો રાજપાટ છોડી દેનાર મહાન પ્રજાવત્સલ રાજવી મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલજીને ભારતરત્ન આપવામાં આવે.


 






ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ સાથે કેજરીવાલે મુલાકાત કરી


આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ હાલમાં ભાવનગર પહોંચ્યા છે. ભાવનગર શહેરમાં આમ આદમી પાર્ટીના દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ એક દિવસીય પ્રવાસ પર છે. સીએમ અરવિંદ કેજરીવાલ કાર્યક્રમ સ્થળ પહેલા નિલમબાગ પેલેસ પહોંચ્યા હતા. જ્યાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ સાથે કેજરીવાલે મુલાકાત કરી હતી. 15 થી 20 મિનિટ સુધી યુવરાજ જ્યવીરાજ સાથે મુલાકાત થઈ હોવાની વાત સામે આવી છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાવનગરના યુવરાજ સાથેની કેજરીવાલની મુલાકાતને લઈ અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.


તો બીજી તરફ તેમના મળ્યા બાદ ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લોકો સાથે સંવાદ કરવા પહોંચ્યા છે. મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે યુવાનો સાથે શિક્ષણ અને રોજગાર સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલના આગમનને લઈને મોટી સંખ્યામાં યુવાનો આ સંવાદમાં ભાગ લેવા ઉમટી પડ્યા છે. અરવિંદ કેજરીવાલની સાથે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા, આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા તેમજ ઇન્દ્રનિલ રાજ્યગુરુ તેમજ યુવરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર છે. અરવિંદ કેજરીવાલના આગમન સમયે લોકોની ચિચિયારીઓથી હોલ ગુંજી ઉઠ્યો હતો. 


 10 લાખ લોકોને મળશે નોકરી
દિલ્લીના સીએમ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આજે તેમણે ભાવનગરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતીને લઈને મહત્વની જાહેરાત કરી છે. આ મામલે અરવિંદ કેજરીવાલે ભરતી કેલેન્ડર વિશે પણ વાત કરી છે.


અરવિંદ કેજરીવાલનું ભરતી કેલેન્ડર



  • ડિસેમ્બરમાં સરકાર બનશે

  • ફેબ્રુઆરીમાં તલાટીની પરીક્ષા

  • એપ્રિલમાં પોસ્ટિંગ

  • મેં મહિનામાં ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા 

  • જુલાઈમાં રિઝલ્ટ

  • જુલાઈમાં જેટલા શિક્ષકો હશે તે તમામને પૂછીને જ જગ્યાની પસંદ કરવામાં આવશે

  • ઓગસ્ટમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ઉપર પરીક્ષા

  • નવેમ્બર માં PSI અને ASIની પરીક્ષા 

  • ડિસેમ્બરમાં તમામ જગ્યાઓ ઉપર PSI અને ASIનું પોસ્ટિંગ


ગુજરાતના તમામ યુવાનોને 5 વર્ષમાં સરકારી નોકરીઓ આપવામાં આવશે તેવી કેજરીવાલે જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, જ્યાં સુધી નોકરીઓ નહીં મળે ત્યાં સુધી 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. 10 લાખ સરકારી નોકરી આપવાની કેજરીવાલે જાહેરાત કરી છે. આ ઉપરાંત પેપર લીક થવા અંગે કડક કાયદો બનાવવાની પણ કેજરીવાલે જાહેરાત કરી છે.