આજે ભાવનગર શહેરની સ્થાપનાને 299 વર્ષ પૂર્ણ થઈને 300મા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે ભવ્ય રીતે ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 224 વર્ષ સુધી ભાવનગરમાં રાજવીનું શાસન રહ્યું એ દરમિયાન સુખ સુવિધાઓ સહિત તમામ બાબતોમાં ભાવનગર નંબર 1 પર હતું. 


ભાવનગરનો ભવ્ય ઈતિહાસઃ
ભાવેણાના રાજવીઓએ "મારી પ્રજાનું કલ્યાણ થજો" આ મંત્રને અપનાવ્યો હતો. રાજાશાહીમાં પણ લોકશાહી હતી. ભાવસિંહજીએ ભાવનગરની સ્થાપના કરી હતી અને ત્યારબાદ ઉતરોત્તર રાજવીઓએ પ્રજાના કલ્યાણ અર્થે સુખ સુવિધાઓને આગળ ધપાવી હતી. પ્રાતઃસ્મરણીય કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરનો ભરપૂર વિકાસ કર્યો છે. સમગ્ર દેશમાં પ્રથમ અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન તેમના શાસનકાળ દરમિયાન નાખવામાં આવી હતી. વરસાદી પાણીના નિકાલ માટે પણ અંડરગ્રાઉન્ડ લાઇન નાખવામાં આવી હતી, આજે શહેરની જીવાદોરી સમાન બોરતળાવનું નિર્માણ રાજાશાહી સમય વખતે કરવામાં આવ્યું અને બોરતળાવમાં ભરપૂર વરસાદ વરસે અને પાણીની આવક થાય એ માટે વિક્ટોરિયા પાર્ક માં અનેક વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરવામાં આવ્યું આવતું હતું.


દુષ્કાળના સમયમાં પ્રજાજનોને અનાજની કોઈ તકલીફ ના પડે એ માટે દરબારી કોટાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં સૌપ્રથમવાર ભાવનગર રાજવીએ પંચાયતી રાજની સ્થાપના કરી હતી. સાથેજ લોકોને પત્રવ્યવહાર દ્વારા એકબીજાને સમાચાર પહોંચી શકે તે માટે પોસ્ટલ વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી હતી. એટલું જ નહીં પામેલાના રાજવીઓએ માત્ર છોકરાઓ જ નહીં પરંતુ દીકરીઓને પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ માટે શાળાઓ કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગૌરવની વાત એ છે કે મહાત્મા ગાંધીજીએ પણ ભાવનગરમાં શિક્ષણ મેળવ્યું હતું. 


લોકોને પૂરતા પ્રમાણમાં વાંચન મળી રહે એ માટે બાર્ટન લાઇબ્રેરીનું નિર્માણ પણ રાજાશાહી સમય દરમિયાન કરવામાં આવ્યું હતું. શહેરની મધ્યમાં વિશાળ જગ્યામાં અનેક વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણની જાળવણીના હેતુ સાથે પીલગાર્ડન કે જે આજે શહેરનું સૌથી મોટું ગાર્ડન તરીકે જાણીતું છે એ પણ રાજવીની દીર્ઘદ્રષ્ટિના કારણે પ્રજાજનોને અર્પણ કરવામાં આવ્યું છે. આયુર્વેદનું શિક્ષણ મળી રહે એ માટે આયુર્વેદિક કોલેજનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું તેની સાથોસાથ ભાવનગરના 1800 પાદરના કોઈપણ વ્યક્તિને કોઈપણ દર્દ હોય તેના માટે સર તખ્તસિંહજી હોસ્પિટલનું બહુ જ મોટું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું જે આજે પુરા સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે.


રેલવેની સુવિધા ભાવનગરના રાજવીઓએ ઊભી કરી હતી. નાણાંની લેવડદેવડ માટે રાજવી બેંકની સ્થાપના કરવામાં આવી હતી જે ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર અને આજે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. આને રાજાશાહીમાં લોકશાહી સાચા અર્થમાં કહી શકાય એવા ભાવનગરના રાજવીઓ હતા. ભાવનગરના રાજવીઓએ 224 વર્ષના રાજાશાહીમાં ઉતરોતર પ્રગતિ તરફ આગળ ધપાવ્યું છે, કૃષ્ણકુમારસિંહજીએ પલક જપકતા જ લોકોને આઝાદીના મીઠા સ્વાદ મળે તેવા હેતુ સાથે આઝાદીના પક્ષમાં પ્રથમ રજવાડું દેશ માટે અર્પણ કર્યું હતું એ ભાવનગર છે. ભારતમાં સૌપ્રથમ રક્તપિત્તના દરદીઓ માટે સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે લોકશાહીના 75 વર્ષમાં કોંગ્રેસ-ભાજપ બંને સત્તા સ્થાને રહ્યા હોવા છતાં રાજવીની ધરોહરને સાચવવામાં અનેક પ્રકારે નિષ્ફળ રહ્યા હોવાનું કહી શકાય.