Bhavnagar Accident News: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. ભાવનગરથી ભોળાદ દર્શન કરવા જતાં બે યુવાનોનો અકસ્માત નડ્યો છે. યુવાનો તળાજાના પીપરલા ગામથી બાઈક લઈને ભોળાદ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા તે સમયે ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોના નામ રમેશ અને મુકેશ હોવાનું જાણવા મળ્યું છે. બનાવના પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


વડોદરાના ડભોઇમાં કરનાળી કુબેર ભંડારી દર્શન પરત ફરી રહેલ મિત્રોને ધરમપુરી નજીક અકસ્માત નડ્યો હતો. સ્કોર્પિયો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સાઈડમાં ઉભેલી હાઇવા ટ્રક સાથે અથડાઈ હતી. બનાવમાં ડભોઇ ઝારોલા વાગા વિસ્તારમાં રહેતી કેયુરી રાજુભાઈ ધોબીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જયારે કાર ચાલકને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ડભોઇ પોલીસે મૃતદેહ પી.એમ અર્થે મોકલી આપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે ઇજાગ્રસ્ત કાર ચાલકને વડોદરા સારવાર અર્થે ખસેડાયો હતો.


સયાજીગંજ વિસ્તારના હોટલમાં રોકાયેલા અમદાવાદના યુવાને હોટલની રૂમની બારી પર દોરડા વડે લટકી જઇ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવાને  અંતિમ ચિઠ્ઠીમાં આવું પગલું ભરવા બદલ માતા - પિતાની માફી માંગી પોતાના માથે કોઇ દેવું નહીં હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ સરદાર નગર રમેશ દત્ત કોલોનીમાં રહેતા હેમંત નારાયણપુરી ગોસ્વામી (ઉં.વ.39 ત્રણ દિવસ પહેલા  સયાજીગંજ અપ્સરા હોટલના રૂમ નંબર - 7 માં રોકાયો હતો. સવારે રૂમ સર્વિસ બોય આવ્યો હતો. તેણે બારણું ખખડાવ્યું  પણ હેમંતે દરવાજો ખોલ્યો નહતો. રૂમ સર્વિસ બોયને લાગ્યું કે, હેમંત મોડી રાત સુધી જાગતો હતો. જેથી, તે ઊંઘતો  હશે.  હેમંતને ડિસ્ટર્બ નહીં કરવાનું વિચારી તે જતો રહ્યો હતો. પરંતુ, સાંજ સુધી રૂમમાંથી કોઇ હિલચાલ નહીં  જણાતા હોટલના સ્ટાફે બારીમાંથી જોયું તો  હેમંતે રૂમની બારીના સળિયા સાથે દોરડું બાંધીને ફાંસો  ખાઇ લીધો હતો. જે અંગે સયાજીગંજ પોલીસને જાણ કરવામાં આવી હતી. સયાજીગંજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.વી. પાટિલે સ્થળ પર જઇને તપાસ હાથ ધરતા હેમંતના પેન્ટના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણે પત્ની, પુત્રના નામ અને નંબર લખ્યા હતા.તેણે આવું પગલું ભરવા બદલ માતા - પિતાની માફી માંગી હતી. તેણે લખ્યું હતું કે, મારા પર કોઇ દેવું નથી. આ પગલું ભરવા પાછળ કોઇનો હાથ નથી. મને માફ કરજો. તેણે પોતાના પરિવારના તમામ સભ્યોના નામ અને નંબરો લખ્યા હતા. જેના આધારે પોલીસે તેના પરિવારનો સંપર્ક કરતા તેઓ વડોદરા આવી  પહોંચ્યા હતા. પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે,  હેમંત પાસે છેલ્લા કેટલાક સમયથી કોઇ કામ ધંધો નહતો.પરંતુ, તેને આર્થિક સંકડામણ પણ નહતી.  આવું પગલું તેણે કેમ ભર્યુ તે જાણી શકાયું નથી. પરંતુ, બેકારીના કારણે તેણે આ પગલું ભર્યુ હોવાની શક્યતાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.