ભાવનગરઃ ગ્વાલિયર એયરફોર્સમાં ફ્લાઈંગ ઓફિસર ક્લાસ વન તરીકે જોડાયેલા ભાવનગરના 25 વર્ષીય યુવકે ટ્રેનિંગ દરમિયાન તેમની હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરનારા જવાનના પાર્થિવદેહને પરિવારજનો ખાસ વિમાન મારફતે ભાવનગર લવાયો હતો. જ્યાં એયરપોર્ટ પર ભાવનગરના પદાધિકારીઓ, સમાજના અગ્રણીઓ અને શાળાના બાળકોએ પુષ્પાંજલિ અર્પણ કરી સલામી આપી હતી.  ત્યારબાદ જયદ્રથસિંહ સરવૈયાના મૃતદેહને વતન જળીયા ખાતે લઈ જવાયો હતો. જ્યાં પરિવારજનોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


 ઈન્ડિયન એયરફોર્સની અઘરી ગણાતી પરીક્ષા પાસ કરી એક વર્ષ પહેલા ફ્લાઈંગ ઓફિસર બનેલા જયદ્રથસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયા હાલ એરફોર્સમાં ટ્રેનિંગ લઈ રહ્યાં હતા. બેંગ્લોર ખાતે ટ્રેનિંગ પુર્ણ કર્યાં બાદ ગ્વાલિયર તેમની ટ્રેનિંગ ચાલી રહી હતી દરમિયાન બુધવારે વહેલી સવારે ગ્વાલિયર ખાતે હોસ્ટેલના રૂમમાં તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જયદ્રથસિંહ સરવૈયાએ આત્મહત્યા પૂર્વે 14 જૂનના પિતાનો જન્મદિવસ હોવાથી ફોન કરી શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ અંતિમ પગલું ભરી લીધું હતું. સ્થાનિક પોલીસને યુવકની ડાયરીમાં હેપ્પી બર્થ-ડે પપ્પા લખેલું પણ મળ્યું હતું. ચાર દિવસ બાદ રજા મળવાની હોવાથી જયદ્રથસિંહ ભાવનગર આવવાના હતાં. જોકે વતન આવે તે પહેલા તેને અંતિમ પગલુ ભરી લેતા તેમનો મૃતદેહ વતન પરત આવ્યો હતો. ભાવનગર એયરપોર્ટ ખાતે મૃતદેલ લવાતા જ શહેરના મેયર, કોર્પોરેટરો સહિતના પદાધિકારીઓ અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતાં અને મૃતકને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.


આ દરિયા કિનારે ફરવા જતા પ્રવાસીઓ સાવધાન! કલેક્ટરે ન્હાવા પર લગાવી દીધો પ્રતિબંધ
દમણ: ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા થોડા દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તો બીજી તરફ દમણના દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે દમણ કલેકટર આદેશ જારી કર્યો છે. ચોમાસા દરમિયાન દરિયો તોફાની રહેતો હોવાથી ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 16 મી જૂનથી 31મી ઓગષ્ટ સુધી પ્રતિબંધ લગાવ્યો છે. દમણના સ્થાનિક લોકો, પર્યટકો કે વિદેશી પ્રવાસીઓને દરિયામાં ન્હાવા પર રોક લગાવાઈ છે. આદેશનો ભંગ કરનાર લોકો વિરુધ કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે.


ગુજરાતમાં મેઘરાજાના મંડાણ, સુરતના કામરેજમાં 2.5 ઇંચ વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદના મંડાણ થઈ ગયા છે. ગઈ કાલે પણ રાજ્યમાં સારો વરસાદ પડ્યો હતો. રાજ્યના 61 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સુરતના કામરેજ તાલુકામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી વલસાડના કપરાડા, વડોદરાના કરજણ, સુરતના પલસાણામાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.


જ્યારે બોટાદ, લીંબડી લિલિયા વડિયા, તારાપુર તાલુકામાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે બારોડલી, સુરતના મહુવા, સુરેન્દ્રનગરના વઢવાણ, નવસારી, વલસાડ અને ધારીમાં અડધા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સિવાયના તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં આજે ધોધમાર વરસાદ પડશે. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. નૈઋત્યના ચોમાસાએ ઉત્તર અરેબિયન સમુદ્ર તેમજ ગુજરાતના અન્ય કેટલાક હિસ્સામાં આગેકૂચ કરી છે. જેને પગલે આજે સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે.