ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાના મેયરને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે,  કારણ કે પોતાના વ્યવસાયની કેબીન ધરાવતા મનપાના મેયરની દુકાન બહાર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો.  જેને લઈને ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર કાર્યવાહી કરીને ભાવનગરના પ્રથમ નાગરિક ભરતભાઈ બારડની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. નિયમ દરેક માટે સરખો હોય છે જે ભાવનગરમાં સાબિત થયું છે. 


સમગ્ર અહેવાલ અનુસાર,  ભાવનગર શહેરનાં વડવા વાસણ ઘાટ વિસ્તારમાં મહાનગરપાલિકાના ચેકિંગ દરમિયાન ખુદ મેયરની વેલ્ડિંગની કેબિનની આજુબાજુ જ ગંદકી હોવાના કારણે મનપાએ તેમને દંડ ફટકાર્યો હતો. ભાવનગર શહેરના મેયર તરીકે જેની વરણી થઈ છે તે ભરતભાઈ બારડ વ્યવસાયે વેલ્ડીંગનું કામ કરે છે અને વડવા વિસ્તારમાં તેઓ વેલ્ડિંગની કેબિન ધરાવે છે. અધિકારીઓ દ્વારા ભાવનગર શહેરના વડવા વોશિંગ ઘાટ પાસે આવેલી કેબિનો પાસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને દંડ ફટકારવામાં આવ્યો હતો. 




ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં દબાણ હટાવ કામગીરી અને સ્વચ્છતા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઈ  વડવા વાસણઘાટ વિસ્તારમાં દબાણો હટાવવાની સાથે-સાથે ગંદકી કરતા લોકો સામે દંડ ફટકારીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમિયાન મેયરની કેબિન બહાર પણ ગંદકી હોવાને કારણે ભાવનગર મહાનગરપાલિકાએ દંડ ફટકાર્યો હતો. 


વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિએ ગુમાવી જિંદગી, એસિડ ગટગટાવી ટૂંકાવ્યું જીવન


ભાવનગર શહેરમાં વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિએ  જીવ ગુમાવ્યો છે.  ભાવનગર શહેરના ઘોઘા રોડ પર આવેલી કૈલાસ સોસાયટીમાં રહેતા મનસુખભાઈ બારૈયા નામના વ્યક્તિએ વ્યાજ ખોરોના ત્રાસથી એસિડ ગટગટાવીને જીવન ટૂંકાવ્યું છે.  4 વર્ષ પહેલા 2 લાખ 80 હજાર રૂપિયા વ્યાજ પેટે લીધા હતા, જે રકમની 11 લાખ રૂપિયાની માંગ સાથે વ્યાજખોરે જમીન પણ  પચાવી પાડી હોવાની  ફરિયાદ કરી હતી.  આ ઘટના બાદ હોઈદડ ગામના વ્યાજખોર પિતા અને પુત્ર સામત ભાઈ ખરગસીયા અને જેયશ ખરગસીયા વિરુદ્ધ પોલીસે તપાસ હાથ ધરી છે.  ભાવનગરમાં કાયદાના  ડર વગર બેફામ રીતે  વ્યાજખોરો પઠાણી વસૂલી કરતા હોય તેવા કિસ્સા છાશવારે બની રહ્યાં છે. હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.