Crime News: નવા વર્ષ પર ભાવનગરમાં ખૂની ખેલ ખેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, પાલિતાણાના હણોલ ગામમાં જગદીશ સરવૈયા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. જગદીશ તેના ભાઇની લગ્નની કંકોત્રી આપવા નીકળ્યો હતો ત્યારે વાળુકડ ગામે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરી દેવામાં આવી હતી.




પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે જગદીશની હત્યા કોર્ટમાં જુબાની આપવાના કારણે કરવામાં આવી હતી. વાસ્તવમાં સુરતમાં 2 વર્ષ પહેલા જગદીશના મિત્રની હત્યા થઇ હતી જે કેસમાં જગદીશે કોર્ટમાં જુબાની આપી હતી. જેના કારણે તેની હત્યા કરી દેવામાં આવી હોવાનું માનવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે છ જણા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.


બીજી તરફ ભાવનગરના સિહોરમાં પોલીસ પર માર મારવાનો આરોપ લાગ્યો છે. દુકાન બંધ કરવાને લઇ એક યુવક સાથે પોલીસે માથાકૂટ કરી હતી. પોલીસ તે યુવકને પકડીને લઇ જઇ રહી હતી ત્યારે તે યુવકના ભાઇએ પોલીસને સવાલો કર્યા હતા. જેથી પોલીસે યુવકના ભાઇ રણજીતને માર માર્યાનો આરોપ લાગ્યો હતો. ભોગ બનનાર યુવકે સિંહોર PI સહિત 3 પોલીસકર્મી સામે અરજી કરી હતી. પરિવારની માંગ છે કે ત્રણેય પોલીસકર્મી સામે કાર્યવાહી કરવામાં આવે.                


બનાસકાંઠાના પાલનપુરના તાજપુરામાં મકાનના બાથરૂમમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અડધું શરીર દાઝેલી હાલતમાં યુવક દિનકર શ્રીમાળીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી.યુવક રાત્રીના સમયે એકલો ઘરે હતો અને વહેલી સવારે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પરિવારે ઘટનાની જાણ પશ્ચિમ પોલીસને કરતા મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.                                   


અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના રામોલમાં ફટાકડા ફોડવા બાબતે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પિતા પુત્રનું મોત થયું હતું. ચાર વ્યક્તિઓએ છરી વડે પરિવાર પર હુમલો કર્યો હતો જેમાં પિતા વિજય શંકર અને પુત્ર બંસીલાલનું મોત થયું હતું. રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.