ભાવનગર : ગુજરાતમાં આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે ભાજપ દ્વારા રાજકોટ અને જામનગર કોર્પોરેશન પછી ભાવનગર કોર્પોરેશન માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા 13 વોર્ડના 52 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપની જાહેર કરવામાં આવેલી યાદીમાં ગીતાબેન મેર શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે.


ભાવનગર કોંગ્રેસનાં નેતા અને પૂર્વ નગરસેવીકા ગીતાબેન મેર આજે ભાજપમાં જોડાયા હતા. પૂર્વ નગરસેવક ગીતાબેન મેર ભાજપ કાર્યકર્તાઓ સાથે ભાજપનાં કાર્યાલય પર પહોંચી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હાલમાં જ ભાજપમાં જોડાયા કોંગ્રેસનાં પૂર્વ નગરસેવિકા ગીતાબેન મેરને ભાજપમાં જોડાતા જ ભાજપમાંથી ટિકીટ આપી દેવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.

આ મામલે ભાજપ દ્વારા યુવાનો, નવા ચેહરાઓને તક આપવામાં આવી હોવાની દલીલ પણ કોઇને કોઇ રીતે રજૂ કરવામાં આવી રહી છે. જો કે, ગમે તે કારણ હોય પણ સવારે આવ્યા અને સાંજે ટિકિટ મેળવી ગીતાબેન મેર હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.

ભાજપ દ્વારા ભાવનગરમાં મૂળ કોંગ્રેસીને ટીકીટ આપતા મનીષ દોશીએ કહ્યું, ભાજપની કરણી અને કથનીમાં ફરક છે. મતદારોને ગુમરાહ કરીને ભાજપ સત્તા મેળવે છે. ભાજપ પોતે તકવાદી રાજકારણ કરે છે અને વિપક્ષ પર આક્ષેપ કરે છે. મનીષ દોશીએ કહ્યું, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુફિયાણી વાતો કરે છે.