ભાવનગર:  એસ.ઓ.જી પોલીસે 1.39 કરોડ રૂપિયાની ડુબલીકેટ નોટોનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે.  યુવાનીમાં કરોડપતિ બનવા માટે પાંચ ઈસમોએ 2000 નાં દરની નકલી નોટો પ્રિન્ટિંગ મશીનમાં છાપી ડુપ્લીકેટ નોટોનું કૌભાંડ ચલાવી રહ્યા હતા. ભાવનગરના ભરતનગર વિસ્તારના ગાયત્રી નગરમાં ભાડાના મકાનમાં નકલી નોટનો કારોબાર ચાલી રહ્યો હતો. આ અંગે એસઓજી પોલીસે બાતમીના આધારે રેડ પાડી જાલી નોટોનો પર્દાફાશ કર્યો છે.


નકલી નોટોના કારોબાર માટે ભાવનગર એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગર શહેરમાં ફરી એક વખત ડુબલીકેટ નોટોનો કાળો કારોબાર ઝડપાયો છે. એસઓજી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે જેમાં પોલીસે બાતમીના આધારે 1.39 કરોડના દરની નોટો, કલર પ્રિન્ટર, ઝેરોક્ષ કમ સ્કેનર મશીન તેમજ રોકડ રૂપિયાના મુદ્દા માલ સાથે એસ.ઓ.જી પોલીસે પાંચ આરોપીને દબોચી લીધા હતા. તપાસ દરમિયાન અન્ય ત્રણ વ્યક્તિના નામ પણ ખુંલ્યા છે જેને પોલીસે પકડવાની તજવીજ હાથ ધરી છે. જોકે પકડાયેલા આરોપી ભૂતકાળમાં પણ નકલી નોટો છાપીને માર્કેટમાં ચલાવી રહ્યા હતા ત્યારે ફરી એક વખત (1) હિરેન સિયાતર (2) હાર્દિક વાઘેલા (3) પંકજ સોનરાજ(4) અયુબ બિલખીયા (5) મેરારાજ લોઢાને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે.


ભાવનગરમાં સૌથી મોટું નકલી નોટોનું નેટવર્ક હાથ લાગ્યું છે જેમાં વધુ તપાસ માટે એસઆઇટીની રચના પણ કરવામાં આવી છે જે આગળની તપાસ ચલાવશે. જોકે અન્ય ત્રણ આરોપી સુરેશ આડેસરા, જાવેદ શરમાળી, મોહમ્મદ રફી કુરેશીને પકડી પાડવાની તજવીજ સાથે પોલીસે તપાસ હાથ ધરી છે. નકલી નોટના કૌભાંડમાં અન્ય લોકોના નામ પણ ખૂલે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે. ફરાર ત્રણ આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડનાર પાંચ આરોપી વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ ચલાવી રહી છે.


સુરતમાં કોંગ્રેસના 20થી વધુ કાર્યકરોની અટકાયત


સુરત કોંગ્રેસના 36 કલાકના ઉપવાસ મામલે  20થી વધુ નેતા કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે. પરમિશન વગર કાર્યક્રમ કરતા અટકાયત કરવામાં આવી છે.  કોંગ્રેસના કાર્યકરો પર પાસા જેવા ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવાયો છે. 36 કલાકનો ઉપવાસ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.  કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવાયો છે કે ભાજપના સીધા આશીર્વાદથી કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેના વિરુદ્ધમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે  સવારે ૯- કલાકથી (૩૬-કલાક સુધી) ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતા.   સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ, કાર્યકારી પ્રમુખો દ્વારા  ગાંધી પ્રતિમા,ચોક બજાર ખાતે શાંતિપૂર્ણ ઉપવાસ પર બેસવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે, કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે.