Uttarakhand Road Accident: ઉતરાખંડમાં સર્જાયલ બસ દુર્ઘટનામાં ભાવનગર શહેર અને જિલ્લાના 7 યાત્રાળુઓના મોત થયા છે.  ભાવનગરના મુસાફરોને લઈ જતી બસ ઉત્તરાખંડમાં ઊંડી ખીણમાં ખાબકી. આ બસમાં ભાવનગર ત્રાપજ, તળાજા મહુવાના સહિતના મુસાફરો ચાર ધામની યાત્રાએ ગયા હતા. આજે આ બસનો જે અકસ્માત થયો છે તેમાં ભાવનગરની સરદાર પટેલ શાળાના પ્રિન્સિપાલ અને તેમનો પરિવાર તેમજ અન્ય શિક્ષકો પણ યાત્રામાં સામેલ. ભાવનગરની શ્રી હોલીડે ટ્રાવેલ્સ દ્વારા યોજયેલ આ યાત્રામાં અકસ્માતની જાણ થતાં ટ્રાવેલ્સ સંચાલકો દિલ્હી જવા રવાના થયા છે.


 





7 લોકોના મોત 


1.ગીગાભાઈ ભમ્મર રહે.તળાજા


2.મીનાબેન કમલેશકુમાર ઉપાધ્યાય રહે.દેવરાજનગર


3.જોશી અનિરુદ્ધ હસુમખભાઈ રહે. તળાજા


4. દક્ષાબેન મહેતા રહે.મહુવા


5.ગણપતભાઈ મહેતા રહે.મહુવા


6.કરણ ભાટી. રહે.પાલિતાણા


7.રાજેશ મેર રહે. અલંગ


ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબર


ઉત્તરાખંડમાં રવિવારે  સર્જાયેલી બસ દુર્ઘટનાના ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે  રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ફોન 079 23251900 પર સંપર્ક કરી શકાશે તેમ રાહત કમિશનર આલોક પાંડે એ જણાવ્યું છે. ઉત્તરાખંડમાં રવિવારે પ્રવાસી બસ ખીણમાં પડી જવાથી સર્જાયેલી દુઘર્ટનામાં ગુજરાતના જે પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે અને ઇજાગ્રસ્ત થયા છે તેમની વિગતો અને જાણકારી માટે રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનર ના સતત સંપર્કમાં છે.


રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું છે કે પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે. ઉત્તરાખંડ રાજ્યના એસડીઆરએફની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.


તેમણે જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્ક માં છે. ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ  ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ  33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.


ઉતરાખંડમાં મુસાફરો ભરેલી ખાનગી સંચાલકની શ્રી હોલીડે ટ્રાવેલ્સ ભાવનગરની ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર બસ ખીણમાં ખાબકતા દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે જ્યારે 27ને રેસ્ક્યુ કરી હોસ્પિટલે ખસેડાયા છે. બસમાં ગુજરાતી પ્રવાસીઓ સવાર હતાય જેમાં 31 લોકો પૈકીના 3 સુરતના, 8-ભાવનગર, 16 તળાજા-ત્રાપજ-કંઠવા અને 2-મહુવાના મુસાફરો હતા. યાત્રા કરી પરત ફરતા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો.