ભાવનગર:  ઉનાળાની શરૂઆત થતા જ ભાવનગર શહેરમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. રાજ્યની સરકાર અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના થકી પીવાના પાણીનું નિવારણ લાવવા માટે 160 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાની લાઇન શહેરમાં પહોંચાડવામાં આવી છે તો મ.ન.પાયે વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે 13 જેટલા અમૃત સરોવર બંધાવ્યા છે. પરંતુ આમ છતાં ભાવનગર શહેરમાં દર મહિને 900 જેટલા ટેન્કરો વિવિધ વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડી રહ્યા છે જેનો ખર્ચ 2 કરોડ અને 60 લાખ રૂપિયા જેવો દર મહિને ભાવનગર મહાનગરપાલિકા પાણી વિતરણ માટે ખર્ચ કરી રહી છે જેનો સીધો જ બોજો જનતાના કમર પર આવી રહ્યો છે.




ભાવનગર શહેરમાં પીવાના પાણીનો કોયડો 30 વર્ષના શાસન દરમિયાન પણ સરકાર ઉકેલી શકી નથી અને દરેક વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડી શકી નથી જે ભાવનગર શહેર માટે શરમજનક બાબત કહી શકાય. ભાવનગર શહેરમાં વોટર વર્કસ વિભાગ દ્વારા 1 લાખ 60 હજાર નળ કનેક્શન નાખી દેવામાં આવ્યા પરંતુ આ નળ કનેક્શનમાં પાણી તો આવતું નથી પરંતુ નળ કનેક્શનના નામે ટેક્સ પૂરેપૂરો ઉઘરાવવામાં આવે છે.  જેના એક નહીં પરંતુ અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. ઉનાળાની શરૂઆત થતા જ દર વર્ષની પરંપરાગત મુજબ ભાવનગર શહેરમાં ટેન્કર રાજ શરૂ થતું હોય છે જેનાથી ભાવનગર શહેરમાં લોકોને પીવાના પાણી પહોંચાડી શકાય.




રાજ્યના નેતાઓ ટેન્કર રાજ ખતમ થઈ ગયું હોય તેવા દાવા કરતા હોય છે પરંતુ ભાવનગરમાં નબળી નેતાગીરીના કારણે ટેન્કર રાજ હજી પણ શરૂ છે એની પાછળનું કારણ એ છે કે ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો અને જવાબદાર અધિકારીનું મિસ પ્લાનિંગના કારણે શહેરમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ 30 વર્ષ પછી પણ લાવી શકી નથી. હાલ મહાનગરપાલિકાનું તંત્ર પોતાની બુદ્ધિનો દેવાળું ફૂંકી રહી હોય તેમ પ્રજાના પૈસાનો પણ વેડફાટ કરે છે અને પાણીના સંગ્રહ માટે કોઈ આયોજન પણ કરી રહી નથી. હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો મહિપરી એ જ માંથી મનપા 70 થી 75 એમએલડી પાણી ખરીદી રહી છે જેનો મહિનાનો ખર્ચ 1 કરોડ અને 20 લાખ રૂપિયા જેવો થાય છે. સાથે જ શેત્રુંજી ડેમમાંથી 90 થી 95 એમએલડી પાણીની ખરીદી કરવામાં આવી રહી છે જેનો ખર્ચ 1 કરોડ અને 40 લાખ રૂપિયા જેવો થાય છે. આમ મહાનગરપાલિકાનું તંત્ર દર મહિને 2 કરોડ અને 60 લાખ રૂપિયા પાણીની માફક પાણી વિતરણ પાછળ કોઈ આયોજન વગર કે કોઈ પ્લાનિંગ વગર વેડફાટ કરી રહી છે જેનો બોજ ભાવનગરની જનતા ભોગવી રહી છે. 


રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના થકી વિકળીયાથી ભાવનગર શહેરના બોર તળાવ સુધી 160 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાની લાઇન લંબાવવામાં આવી છે પરંતુ આ લાઈનનો એક વખત પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. જો આ નર્મદાની લાઇનનું પાણી શહેરના બોર તળાવમાં ઠાલવવામાં આવે તો ભાવનગર શહેરમાં મહદ અંશે પીવાના પાણીની સમસ્યાનો હલ થઈ શકે તેમ છે પરંતુ જે યોજના પાછળ 160 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે તેમની પાછળ નિભાવ પણ કરવામાં આવતો નથી. આજે આ યોજનાનું મુખ જે જગ્યા પર છે તે પણ ખંડેર બની ગયું છે માત્ર જસ ખાટવા માટે જાહેર જનતાની વાહ-વાય લૂંટવા માટે લોકાર્પણ કરી દીધું પરંતુ આજે પરિસ્થિતિ એવી થઈ છે કે આ યોજના ભાવનગર માટે વરદાન રૂપ સાબિત થઈ રહી નથી જેના કારણે મહાનગરપાલિકાનું તંત્ર બહારથી પાણી ખરીદીને દર મહિને 2 કરોડ અને 60 લાખ રૂપિયાનો ખર્ચ કરી રહી છે.


ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તાર, ફુલસર વિસ્તાર, ચિત્રા વિસ્તાર, નારી ગામ, ખેડૂત વાસ, કરચલીયા પરા, જોગીવાડની ટાંકીનો વિસ્તાર, આણંદ નગર, અકવાડા વિસ્તાર, રૂવાપરી વિસ્તાર, ભરતનગર વિસ્તાર, સુભાષ નગર વિસ્તાર સહિત 13 વોર્ડના વિવિધ વિસ્તારોમાં નગર સેવકોના સૂચના મુજબ સતત ટેન્કરો દોડાવવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકા ઘરે ઘરે નળની લાઈન પહોંચાડીને નળ કનેક્શન આપતું હોય તો પછી પાણી શા માટે આપી શકતો નથી તે પણ મોટો કોયડો છે. જોકે આ બાબતે abp asmita દ્વારા વિતરણ અધિકારીને પૂછતા તેમણે વોટર વર્કસ વિભાગને ખો આપી વોટર વિભાગ ના અધિકારીને પૂછતા તેમણે સીટી એન્જિનિયરની ખો આપી સીટી એન્જિનિયરિંગ ફરી પાછું વોટર વર્કસ વિભાગના અધિકારીના તાબામાં આવે તેવું જણાવ્યું એટલું જ નહીં abp asmita દ્વારા ભાવનગરના મેયરને પાણીની વિકટ સમસ્યા સંદર્ભે પૂછતા તેમણે સ્પષ્ટ જણાવી દીધું કે આ બાબતે હું એક પણ શબ્દો બોલીશ નહીં.  બાદમાં વોટર વર્કસ વિભાગના અધિકારીએ અધિકારીઓનું પ્રેશર આવતા અંતે મીડિયા બાઈટ આપ્યું હતું ત્યારે પ્રશ્ન એ છે કે તમે કરોડો રૂપિયાના ખર્ચે કોઈપણ પ્લાનિંગ વગર પાણી માટેની યોજના સફળ કરી દો છો તો પાણી વિતરણ શા માટે કરી શકતા નથી.


જોકે એબીપી અસ્મિતાની ટીમ દ્વારા મહાનગરપાલિકામાં પાણીની સમસ્યા અંગેનું કારણ જાણવા માટે અધિકારીની કચેરી પર પહોંચ્યા હતા તો ત્યારે પણ અધિકારીની કચેરીનો ઘહેરાવ કરીને અકવાડા વિસ્તારની મહિલાઓ રજૂઆત કરવા પહોંચી હતી ત્યારે ભાવનગરમાં સમજી શકાય છે કે કેટલી હદે પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ રહી છે.