ભાવનગર: વલ્લભીપુર તાલુકાના કાળા તળાવમાં આવેલા આરોગ્ય કેન્દ્રની દવા બારોબાર વેચી મારવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ખુદ આરોગ્ય કેન્દ્રનો સુપરવાઇઝર જ આ કૌભાંડમાં સામેલ હતો. સુપરવાઇઝર સરકારી PHC ની દવાઓનો જથ્થો પોતાના ઘરે લઈ જઈને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો.  


આ મામલે કાળા તળાવ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટી પર્પસ હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પરેશ માંગુકિયાની અટકાયત કરવામાં આવી છે. ભાવનગર મલ્ટી પર્પસ હેલ્થ વર્કર કચેરીના વિભાગ નિયામક દ્વારા આ પરેશ માંગુકિયા વિરુદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોતાની પાસે કોઈ ડિગ્રી ન હોવા છતાં પોતાના ઘરે દવાખાનું ખોલી સરકારી દવા બારોબાર દર્દીઓને આપી રૂપિયા કમાઈને દર્દીઓનું જીવન જોખમમાં નાખતા સુપરવાઇઝર સામે કાર્યાવાહી હાથ ધરવામાં આવી છે. 


અમરેલીના ગળધરા ખાતે ન્હાવા પડેલ યુવકનું પાણીમાં ડૂબી જતા મોત


ધારીના ખોડીયાર ડેમની બાજુમાં ગળધરા ધરોમાં ન્હાવા પડેલ યુવાન ડૂબ્યો હતો. અમરેલી ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગના કર્મચારીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા ગળધરા ધરોમાં પંદર મિનિટની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. ત્યાર બાદ યુવકની ડેડ બોડી ધારી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતકનું નામ જુનેશ રૂસ્તમભાઈ બેલીમ છે અને તેમની ઉંમર 17 વર્ષની છે.


મિત્રો સાથે પોળોના જંગલમાં ફરવા ગયેલા યુવકનું નદીમાં ડૂબી જવાથી મોત


સાબરકાંઠા: વિજયનગરના પોળોમાં ફરવા આવેલા એક યુવાનનું મોત થયું છે. આણંદથી નવ મિત્રો ઇકો લઈને પોળોમાં ફરવા આવ્યા હતા.   પોળોમાં દરગાહ નજીક નદીમાં પાચ મિત્રો ન્હાવા પડયા હતા. આ દરમિયાન અરસીલ વોરા નામના યુવકનું ડૂબી જવાથી મોત હતું. ઘટનાની જાણ થતા વિજયનગર પોલીસ તેમજ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોચી હતા. વિજયનગર પોલીસ સ્ટેશનના GRD ના જવાને મૃત યુવાન બહાર કાઢ્યો હતો. પોલીસે વિજયનગર સરકારી હોસ્પીટલમાં લાશને પીએમ માટે ખસેડી છે.


ખેડામાં લવ જેહાદમાં ફસાયેલી પરિણીતાએ કરી આત્મહત્યા


ખેડા: કપડવંજમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જે બાદ પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી. 25 વર્ષીય પરિણીતાએ નર્મદા નહેરમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. જે બાદ કપડવંજ રૂરલ પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધાઈ હતી. હવે સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. 20.5.23 ના રોજ આત્મહત્યા માટે મજબૂર કરવાની ફરિયાદ  નોંધાઈ છે. મોહસીન અલી નિઝામ અલી સૈયદ રહેવાસીસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.