Bhavnagar: તળાજા તાલુકાના જૂની કામરોલ ગામે આવેલ કોઝવેના ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ જતા પાંચ લોકો ડૂબ્યા હતા જેમાં બેનો આબાદ બચાવ થયો જ્યારે ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. ત્રણેય વ્યક્તિઓ તળાજા તાલુકાના પાવઠી ગામના હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ વ્યક્તિઓમાં બે મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. પાવઠી ગામના કુલ પાંચ વ્યક્તિઓ જૂની કામરોલ ગામે દાદાના દર્શને ગયા હતા.




નદીમાં અકસ્માતે ડૂબી જતા પાંચમાંથી ત્રણ વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબે તપાસ કરી ત્રણેય વ્યક્તિઓને મૃત જાહેર કરતા શોક છવાઈ ગયો છે. ત્રણેય વ્યક્તિઓના મૃતદેહ તળાજાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા દોડી આવ્યા હતા. બનાવની જાણ થતા તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ સહિતના આગેવાનો પણ હોસ્પિટલે પહોંચ્યા હતા.


એરફોર્સનું દિલધડક રેસ્ક્યુ


છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના પરિણામે અનેક નદી નાળાઓ છલકાયા છે. ગત તારિખ 1 જુલાઇના રોજ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સુતરેજ ગામે ભારે વરસાદના પરિણામે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી.તે દરમિયાન એક ખેતરમાં પાણી ઘૂસી જતાં ખેતમજૂરી કરતાં બે લોકો સામળા સાંગાભાઈ (ઉ.વ.30) અને માવદિયા પોલાભાઈ (ઉ. વ.50) પાણીના પ્રવાહમાં ફસાયા હતા. ખેતરમાંથી બહાર નીકળવાની કોશિસ કરતાં તેઓ પાણીના પ્રવાહમાં તણાયા હતા.


 



બાદમાં તેઓએ ગામના સરપંચને મદદ માટે ફોન કર્યો હતો.પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાના લીધે તેઓને બહાર કાઢવા મુશ્કેલ હોય જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગર જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરી હેલિકોપ્ટરની મદદ માંગતા જામનગર એરફોર્સના જવાનોએ તાત્કાલિક સુતરેજ ગામે પહોંચીને બંને યુવકોને એરલીફ્ટ કર્યા હતા.બાદમાં જામનગર સલામત રીતે પહોંચાડવામાં આવ્યા હતા. કલેકટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જામનગરથી બંનેને સલામત રીતે ગતરાત્રિના રોજ પોતાના ઘરે પરત મોકલવામાં આવ્યા છે. 


પાણીના પ્રવાહમાં ફસાયેલા સામળા સાંગાભાઈએ જણાવ્યું હતું કે, તારિખ 30 જૂનના રોજ રાત્રિ દરમિયાન તેઓ ખેતરે હતા તે દરમિયાન વરસાદના પરિણામે પાણી ખેતરોમાં ઘૂસી ગયા હતા. સવારે તેઓએ ખેતરમાંથી બહાર નીકળવાની કોશિશ કરી ત્યારે તેઓ પાણીમાં તણાયા બાદમાં થાંભલો વચ્ચે આવતા પકડી લીધો અને ગામના સરપંચને મદદ માટે ફોન કર્યો.બાદમાં એનડીઆરએફની ટીમ દ્વારા બહાર લાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ બોટ પહોંચી નહિ. 


ત્યાર બાદ જામનગર એરફોર્સથી હેલિકોપ્ટર આવ્યું અને અમને એરલીફ્ટ કરી જામનગર કલેકટર ઓફિસ સલામત રીતે પહોંચાડવામાં આવ્યા છે.અહી અમને ભોજન કરાવ્યું,વાહનની વ્યવસ્થા કરી આપી છે અને અમને સલામત રીતે અમારા ઘર સુધી પહોંચડવામાં આવ્યા. માત્ર એક કલાકની અંદર મદદ મળતા અમારો જીવ બચી ગયો છે. તે બદલ હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર,સરપંચ,આગેવાનો તેમજ જામનગર જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂ છું. 


નર્મદા કેનાલમાં ડૂબતા મિત્રને બચાવવા જતા બીજો મિત્ર પણ ડૂબ્યો


ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબી જતાં બે યુવકોના મોત નિપજયાં છે. ખેતરમા ખેત મજૂરી કરતો એક પરપ્રાંતીય યુવક ડૂબતા તેને બચાવવા જતાં બીજો પણ પરપ્રાંતીય યુવક પણ ડૂબ્યો હતો. બે પરપ્રાંતીય યુવકોના ડૂબી જવાથી મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. 8 કલાકની ભારે જેહમત બાદ બને યુવાનોની ડેડ બોડી કેનાલમાંથી બહાર કાઢવામાં આવી છે. સ્થાનિક તરવૈયા જયદેવસિંહ ઝાલા અને ધ્રાંગધ્રા નગરપાલિકા સહિતની ટીમે બને યુવકોની લાશને ભારે જહેમત બાદ કેનાલમાંથી બહાર કાઢી છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial