બોટાદ : બોટાદ જિલ્લાના ગઢડામાં એક ચોંકાવનારી ઘટના બની છે. નશો કરનારા બે યુવકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બે યુવકો ઈંટના સળગતા ભઠ્ઠા પરથી મૃત હાલતમાં મળી આવ્યા છે. જોકે, તેમને કોઈએ બળજબરીથી મોકલ્યા હોય તેવું પણ નથી તેઓ જાતે જ ભઠ્ઠા પર મોતને ભેટ્યા છે.


બોટાદ જિલ્લાના ગઢડા મુકામે દારૂના નશામાં બે સગા ભાઈઓ મોતને ભેટવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. ગઢડા સામાકાંઠા વિસ્તાર તરફ જતા નિલકંઠ મહાદેવ સામે આવેલા લાભુભાઈ પ્રજાપતિનાં ઈંટના ભઠ્ઠા ઉપર મૃત હાલતમાં 2 યુવકના મૃતદેહ‌ મળી આવ્યા હતા. આ ઘટનાના પગલે પોલીસ તરફથી પોસ્ટમોર્ટમ તપાસ‌ હાથ ધરવામાં આવી હતી.



મળતી વિગતો અનુસાર ગઢડા શહેરમાં આવેલી કન્યા વિધાલય પાછળ રહેતા દેવીપૂજક પરિવારના બે સગા ભાઈઓ અનિલ અમૃતભાઈ વાઘેલા (ઉં.વ.29) અને રાજેશ અમૃતભાઈ વાઘેલા (ઉં.વ.26) ગત રાત્રે દારૂ પિધેલી હાલતમાં ઈંટોનાં ભઠ્ઠા પાસેથી નિકળ્યા બાદ ઠંડીના કારણે ઈંટના ભઠ્ઠાની ગરમી લેવા ગયા હોવાનું અને બાદમાં ભાન ગુમાવી ભઠ્ઠા ઉપર જ સૂઈ જતા અતિશય ગરમી અને શ્વાસ રૂંધાઇ જવાના કારણે મૃત્યુ પામ્યા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. ઈંટોના ભઠ્ઠા પાસે દેશી દારૂની ખાલી કોથળીયો પણ જોવા મળી છે. આમ નશામાં જીવ ગુમાવવાની વિચિત્ર ઘટનાથી ચકચાર મચી ગઈ છે.

હાલ પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. ગઢડા શહેરમાં રહેતા લાભુભાઈ પ્રજાપતિ કે જેઓનો ઈટો નો ભઠ્ઠો સામાકાઠે નિલકંઠ મહાદેવ સામે આવેલ છે તેઓ દરરોજ સાંજના સમયે ઘરે જતા રહે છે ત્યારે ગઈકાલે તેઓ સાંજના પોતાના ઘરે ગયા બાદ સવારમાં ઈંટોના ભઠ્ઠા પર આવીને જોયું તો આ બંને ભાઈઓ ઉપર મૂર્ત હાલતમાં હતા.