નવી દિલ્લીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને કોરોનાની સારવાર પછી ફેફસામાં ઇન્ફેક્શન થઈ જતા તેમને દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અહેમદ પટેલ થોડા દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. આ પછી તેમને ફેફસામાં ઇન્ફેક્શન થતા ફરિદાબાદથી દિલ્લીની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.


અહેમદ પટેલની તબિયતને લઈને તેમના દીકરા ફૈઝલ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે. ટ્વીટમાં અહેમદ પટેલની પુત્રી મુમતાઝની વોઈસ નોટ જાહેર કરી છે અને જણાવ્યું છે કે, અહેમદ પેટલનું સ્વાસ્થ્ય સુધરી રહ્યુ છે, પણ સારવારમાં હજી વધારે સમય લાગશે. મેદાંતા હોસ્પિટલ લાવ્યા પછી સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે. તેમણે બધાનો આભાર માન્યો હતો.


તેમના પુત્રે અગાઉ જણાવ્યું હતું કે, અહેમદ પટેલને ICUમાં દાખલ કરાયા છે. ગુરગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્યારે તેમની તબિયત સ્થિર છે. નોંધનીય છે કે, તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે. કોરોનાની સારવાર પૂર્ણ થયા પછી તેમને અમૂક કોમ્પલિકેશન ઉભા થયા હતા.