નવી દિલ્લીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ 2021-22ના સામાન્ય બજેટમાં આવકવેરા અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે જાહેર કર્યું કે, હાલમાં આવકવેરા ખાતાની જોગવાઈ પ્રમાણે છેલ્લાં છ વર્ષ સુધીનાં રીટર્ન એસેસમેન્ટ માટે ખોલી શકાય છે પણ નવી જોગવાઈ પ્રમાણે હવે છેલ્લા 3 વર્ષનાં રીટર્નનું જ એસેસમેન્ટ કરી શકાશે. તેના કારણે સામાન્ય કરદાતાને તકલીફ ઘટશે.


આ ઉપરાંત 75 વર્ષ કરતાં વધારે વયના સીનિયર સિટિઝન્સને આવકવેરા રીટર્ન ભરવામાંથી મુક્તિ આપી છે. જો કે આ લાભ એવા સીનિયર સિટિઝન્સને જ મળશે કે જેમને પેન્શન તથા વ્યાજની આવક હશે તેમને જ આ લાભ મળશે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, દેશ આઝાદીનાં 75 વર્ષ ઉજવવા જઈ રહ્યું છે ત્યારે 75 વર્ષ કરતાં વધારે વયના સીનિયર સિટિઝન્સને આ પ્રસંગે આવકવેરાની પ્રક્રિયામાંથી મુક્તિ આપવા આ નિર્ણય લેવાયો છે.