નવી દિલ્હીઃ આવનારા દિવસોમાં જ્યારે તમે ટ્રેન ટિકિટ બુક કરાવવા જશો તો આધાર કાર્ડ જરૂર સાથે રાખવું પડશે કારણ કે સરકાર રેલવે ટિકિટ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવા જઈ રહી છે. સ્પષ્ટ રીતે કહીએતો તમારી પાસે આધાર કાર્ડ નહીં હોય તો ટ્રેનની ટિકિટ તમે બુક નહીં કરાવી શકો. એક અંગ્રેજી વેબસાઈટ અનુસાર આઈઆરસીટીસી ચાલુ વર્ષે ડિસેમ્બર દરમિયાન આ નિયમલાગુ કરવાની તૈયારી કરી રહી છે. મળેલ જાણકારી અનુસાર નિયમને બે તબક્કામાં લાગુ કરવામાં આવી શકે છે. પ્રથમ તબક્કામાં વિશેષ છૂટવાળી ટિકિટ બુક કરાવવા માટે આધાર જરૂરી હશે. જ્યારે બીજી તબક્કામાં આ તમામ પ્રવાસીઓને માટે ફરજિયાત કરવામાં આવશે. સરકારી આંકડા અનુસાર દેશમાં 96 ટકા લોકો પાસે આધાર કાર્ડ છે અને જેની પાસે નથી તેમના સુધી ટૂંકમાં જ પહોંચાડવા માટે સરકાર સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે.

આઈઆરસીટીસીના સીએમડી એકે મનોચા અનુસાર આધાર બેસ્ડ ટિકિટિંગ માટે અમે કામ શરૂ કર્યું છે. શક્ય છેકે ચાલુ વર્ષના ડિસેમ્બર સુધીમાં તેને લાગુ કરી દેવામાં આવશે. તેના માટે રેલવે સચના સિસ્ટમ (ક્રિસ)માં પણ ફેરફાર શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આઈઆરસીટીસીનીવેબસાઈટ પર આધાર નંબર નાંખવાનો વિકલ્પ તો હતો પરંતુ આ એક વિકલ્પ તરીકે જ હતો. પરંતુ શક્ય છે કે ડિસેમ્બરથી આધાર નંબર ફરજિયાત થઈ જાય. મહત્ત્વપૂર્મ છે કે, આ આધાર નંબર ફરજિયાત ઓનલાઈનની સાથે વિન્ડો ટિકિટ પર પણ લાગુ થશે. આગળ ચાલીને અનરિઝર્વ ટિકિટ પર પણ આ સિસ્ટમ લાગુ થઈ જશે.