નવી દિલ્હી: દેવામાં ડૂબેલી સરકારી એરલાઇન એર ઈન્ડિયાને અદાણી ગ્રૂપ ખરીદે તેવી સંભાવના છે. અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીનું અદાણી ગ્રૂપ એર ઈન્ડિયા માટે બોલી લગાવે તેવી સંભાવના છે. જો આ સોદો સફળ થઈ જાય તો એરલાઇન માર્કેટમાં અદાણી ગ્રૂપની ધમાકેદાર એન્ટ્રી થશે.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અદાણી ગ્રૂપે તેના સલાહકારોને સક્રિય કરી દીધા છે અને હાલના તબક્કે તેઓ એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EoI) રજૂ કરવાનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

અદાણી ગ્રૂપની કંપની અદાણી એરપોર્ટ્સને ગત વર્ષે અમદાવાદ, લખનઉ, જયપુર, ગુવાહાટી, તિરુવનંતપુરમ તથા મેંગલુરુ એરપોર્ટના સંચાલન, નિભાવ અને વિકાસના 50 વર્ષ માટે રાઈટ્સ મળ્યાં હતા. ગત નાણાંકીય વર્ષમાં આ 6 એરપોર્ટે કુલ 3 કરોડ પેસેન્જરને એટેન્ડ કર્યાં અને તેમાં વાર્ષિક 22 ટકા વધારો થયો છે. અદાણી ગ્રૂપ એરપોર્ટ બિઝનેસ પાછળ વર્ષ 2026 સુધીમાં 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા કટિબદ્ધ છે.