મુંબઈ: સોમવારે શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો અને બજાર ધડામ કરતાં નીચે પછડાયું હતું. જેના કારણે રોકાણકારોને રોવાનો રાવો આવ્યો હતો. ચીન બાદ હવે દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસ ફેલાવવાની ખબરના કારણે સમગ્ર દુનિયાના બજારોમાં આવેલ ઘટાડાની અસર સેન્સેક્સ અને નિફ્ટી પર જોવા મળી હતી.


બીએસઈનો 30 શેરોવાળો પ્રમુખ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 425 અંક ઘટી 40,720ના સ્તર પર આવી ગયો હતો. ત્યાં જ એનએસઈનો 50 શેરવાળો પ્રમુખ બેંચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી 130 અંકથી વધુ ઘટી ગયો હતો. નિફ્ટી 12,000 સપાટી ક્રોસ કરીને નીચે પહોંચી ગઈ હતી. આ ઘટાડામાં રોકાણકારોના થોડાક જ કલાકોમાં 1.72 લાખ કરોડ રૂપિયા ખોવાનો વારો આવ્યો હતો.

એક્સપર્ટસનું માનવું છે કે, ચીનના કોરોના વાયરસના કારણે બિઝનેસ એક્ટિવિટી ખુબ જ ધીમી પડી ગઈ છે. આ માટે આર્થશાસ્ત્રીઓએ ગ્લોબલ ગ્રોથનું અનુમાન ઘટાડી દીધું છે.

સૂત્રો પ્રમાણે, શેર બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ કોરોના વાયરસ છે. ચીન બાદ હવે એશિયાની મોટી અર્થવ્યવસ્થા દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસ ફેલાવવાની ખબરો સામે આવી રહી છે. આવામાં બિઝનેસ એક્ટિવિટી ઓછી થવાની ચિંતાએ બજાર પર દબાણ બનાવ્યું હતું.