અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર (Gujarat Corona Cases) મચાવ્યો છે અને દૈનિક 5 હજારથી વધુ કોરોનાના કેસો આવી રહ્યા છે અને ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ખૂબ જ કારગર સાબિત થઈ રહ્યા છે. આ દરમિયાન આજે સવારે ફરીથી ઝાયડ્સ હોસ્પિટલ (Zydus Hospital) ખાતે રેમડેસિવિર ઇન્જેક્શનનું (Remdesivir Injection) માંગ ફરી વેચાણ શરૂ થયું છે.



એક દિવસ વેચાણ બંધ રાખ્યા બાદ આજથી પુનઃ વેચાણ શરૂ થઈ રહ્યું છે. ઝાયડ્સ હોસ્પિટલની બહાર 500થી વધુ લોકોએ વહેલી સવારથી લાઈન લગાવી છે. ગુજરાતભરમાંથી દર્દીના પરીવારજનો આ ઈન્જેક્શન મેળવવા ઉમટી પડ્યા છે.  ઝાયડ્સ હોસ્પિટલના ભોંયરાથી ચાર રસ્તા સુધી લાંબી લાઇન લાગી છે.

આ ઈન્જેકશનના આડેધડ ઉપયોગથી થઈ શકે છે.....

ગુજરાત કોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને ચેપી રોગના નિષ્ણાત તબીબ ડો. અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિત વ્યક્તિના ઈલાજમાં રેમડેસિવિર ઈન્જેકશન એ લાઈફ સેવિંગ દવા નથી. રેમડેસિવિરથી માત્ર દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય પાંચ દિવસ જેટલો ઘટાડી શકાય છે, એ જ તેનો લાભ છે. રેમડેસિવિરના આડેધડ વપરાશ અંગે ચેતવતા ડો.અતુલ પટેલ જણાવ્યું હતું કે રેમડેસિવિર ઈન્જેકશનથી શારીરિક રીતે સાઈડ ઈફેક્ટ થાય છે તેમજ દર્દીના માથે ખોટા ખર્ચનો બોજો આવે છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીના કિસ્સાઓમાં રેમડેસિવિરનો ઉપયોગ થઈ રહ્યો છે એ ઠીક નથી.

ગઈકાલે શું કહ્યું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાગતી લાઇનો મુદ્દે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રેમડેસિવિર ઇન્જેક્શન માટે કોઈ 24-48 કલાક ઉભા રહેતું નથી. થોડીકવાર ઉભું રહેવું પડે છે. હું કહું તમને ઝાયડસે એક વધારાની વ્યવસ્થા કરી. સરકારે અમદાવાદ હોય, બરોડા હોય, સુરત હોય કે રાજકોટ હોય સરકાર ડાયરેક્ટ કોઈને ઇન્જેક્શન આપતી નથી અને આપવાની પણ નથી. કારણ કે, કોણ લઈ જાય છે, કેવી રીતે લઈ જાય છે, એનો કોઈ હિસાબ-કિતાબ નથી. સરકારે જેટલી કોવિડ હોસ્પિટલો છે, ખાનગી કે સરકારી. એમને હોસ્પિટલને આપવાનો નિર્ણય કર્યો છે. દાખલા તરીકે, રાજકોટ. એમણે હેલ્પલાઇન ઉભી કરી છે. એ નંબર પર સરકારી સિવાયની ખાનગી હોસ્પિટલના ડોક્ટર વોટ્સએપ પર પ્રિક્રિપ્શન મોકલે અને માણસ મોકલે એટલે એક કલાકમાં એને ઇન્જેક્શન સરકાર આપી દે છે. પણ આપે છે કોને, હોસ્પિટલોને જ. નર્સિંગ હોમોને જ.   તેમણે ઉમેર્યું હતું કે, પેશન્ટને સીધા ઇન્જેક્શન નથી આપતા. કેડિલાએ પેશન્ટની લાગણીઓને ધ્યાનમાં પોતાના ડેપો ઉપર આ વ્યવસ્થા ગોઠવી છે. કેડિલાએ સારી વ્યવસ્થા કરી. 10 હજારથી વધુ લોકોને ઇન્જેક્શન આપ્યા પણ ખરા. સારું કર્યું છે. ગુજરાતમાં જેને રેમડેસિવિરની જરૂરિયાત છે, એને આપણે આપવા માટે પૂરતી વ્યવસ્થા કરી રહ્યા છીએ. ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે જેને રેમડેસિવિરની વ્યવસ્થા કરી છે. એટલે આપણે પહોંચી વળીએ છીએ. બીજા રાજ્યોમાં વ્યાપક સમસ્યા છે. 

એકથી પાંચ હજાર કેસ પહોંચવામાં 45 દિવસ લાગ્યા હતા

ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચના નોંધાયો હતો અને કુલ કેસનો આંક ૫ હજાર સુધી પહોંચવામાં ૪૫ દિવસનો સમય થયો હતો. પરંતુ હવે સ્થિતિ એ હદે ભયાવહ થઇ ગઇ છે કે ૨૪ કલાકમાં જ કોરોનાના ૫ હજાર કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાએ વધુ એક સપાટી વટાવતા ૫,૦૧૧ નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યમાં હાલ પ્રતિ કલાકે સરેરાશ ૨૦૯ નવા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ, સુરતમાં ૧૬-૧૬ સહિત કુલ ૪૯ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાથી નોંધાયેલો આ સર્વોચ્ચ મરણાંક છે. ગુજરાતમાં કુલ કેસનો આંક ૩,૪૨,૦૨૬ -કુલ મરણાંક ૪,૭૪૬ છે અને આ પૈકી છેલ્લા ૧૦ દિવસમાં ૩૪,૩૨૮ કેસ-૨૨૭ મૃત્યુ થયા છે.  

ગુજરાતમાં છેલ્લા 10  દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

 

તારીખ

નોંધાયેલા કેસ

મોત

10 એપ્રિલ

5011

49

9 એપ્રિલ

4541

42

8 એપ્રિલ

4021

35

7 એપ્રિલ

3575

22

6 એપ્રિલ

3280

17

5 એપ્રિલ

3160

15

4 એપ્રિલ

2875

14

3 એપ્રિલ

2815

13

2 એપ્રિલ

2640

11

1 એપ્રિલ

2410

9

કુલ કેસ અને મોત

34,382

227