મુંબઈઃ અનિલ અંબાણી સતત સંકટમાં ફસાતા જઈ રહ્યા છે. તેમની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ટર 3,315 કરોડ રૂપિયાનું ઋણ ચૂકવવામાં નિષ્ફળ રહી છે. તેની સાથે જ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રમોટેડ કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડને વેચવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમાં રસ દાખવનારી કંપનીઓ પાસેથી પ્રસ્તાવ માંગવામાં આવ્યા છે.


33 કંપનીઓ પાસેથી લીધી હતી લોન
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વાર્ષિક રિપોર્ટ (2019-20)માં કહેવામાં આવ્યું છે કે, પોતાની 3315 કરોડ રૂપિયાની લોન ચુકવવામાં ડિફોલ્ટ કરી ચુકી છે. કંપની મુદ્દલ અને વ્યાજ બંને ચૂકવવામાં નિષ્ફળ રહી છે. કંપનીએ 33 અલગ અલગ કરદાતા અને નોન કન્વર્ટેબલ ડિબેંચર સીરિઝ (NCD) સીરિઝના પૈસા ચૂકવવામાં નિષ્ફળ રહી છે.

આ દરમિયાન ગ્રુપની કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગને આઈબીસી અંતર્ગત વેચવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. જેના પર 43,587 કરોડ રૂપિયાનું ઋણ છે અને તેની વસૂલી માટે વેચવાની પ્રક્રિયા શરૂ થઈ છે. તેની પ્રમોટર કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ છે.

જ્યારે અનિલ અંબાણી કહ્યું- મારી પાસે એક પણ રૂપિયો નથી

અનિલ અંબાણી એક સમયે વિશ્વના છઠ્ઠા ધનિક વ્યક્તિ હતા. પરંતુ આજે તેમની પડતી ચાલી રહી છે. પોતાના ભાઈ મુકેશ અંબાણીની સરખામણીએ તેઓ પ્રોપર્ટી ઉભી કરવાની દોડમાં ઘણા પાછળ રહી ગયા છે. અનિલની કંપનીઓ પર 90 હજાર કરોડ રૂપિયાથી વધારે ઋણ છે.

અનિલ અંબાણીને સૌથી વધારે નુકસાને તેના કમ્યૂનિકેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાઈનાન્સિયલ બિઝનેસે પહોંચાડ્યું હતું. તેમની મુશ્કેલી 2014થી વધવાની શરૂ થઈ ગઈ હતી.

માર્ચ 2008માં અનિલ અંબાણીના નેતૃત્વવાળી કંપનીની માર્કેટ કેપ 2 લાખ 36 હજાર કરોડથી વધારે હતી. પરંતુ ફેબ્રુઆરી 2019માં તે ઘટીને માત્ર 25 હજાર કરોડ રૂપિયા રહી ગઈ હતી. જ્યારે ચીનની કંપનીએ તેના 5 હજાર કરોડ રૂપિયાની ઋણ વસૂલી માટે બ્રિટનની અદાલતમાં દાવો ઠોક્યો ત્યારે અનિલ અંબાણીએ કહ્યું કે, તેની પાસે એક પણ રૂપિયા નથી. તેની નેટવર્થ ઝીરો છે.