નવી દિલ્હી: શું 2000 રૂપિયાના નોટને સિસ્ટમમાંથી હટાવવાની તૈયારી ચાલી રહી છે. કેમકે એટીએમથી હવે 2,000ની જગ્યાએ 500ની નોટ વધારે નીકળી રહ્યી છે. ભારતીય રિઝર્વ બેન્કે ગત વર્ષે માહિતી અધિકાર (RTI) હેઠળ માંગવામાં આવેલી જાણકારીના જવાબમાં કહ્યું હતું કે કેન્દ્રીય બેન્કે 2,000ના નોટનું છાપકામ બંધ કરી દીધું છે.


જોકે, નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરી એ સમાચારોનું ખંડન કર્યું, જેમા દાવો કરવામાં આવી રહ્યો છે કે બેન્ક ધીરે-ધીરે એટીએમમાં 2000ની નોટ ઓછા કરી રહી છે. નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે જ્યાં સુધી મારી જાણકારી છે, આ પ્રકારના કોઇ નિર્દેશ આપવામાં આવ્યા નથી.

કહેવાય છે કે, બેંકોએ પોતાની જાતે જ આ નિર્ણય કરી અને ATMમાં નાના ચલણની નોટો જમા કરાવવાનું શરૂ કર્યુ હતું. હાલમાં ઇન્ડિયન બેંકે જણાવ્યું હતું કે તેમણે પોતાના ATMમાં 2,000 રૂપિયાની નોટ નાખવાનું બંધ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા મુજબ 2,000ની નોટને તોડવી મુશ્કેલ હોવાથી તેના છૂટ્ટા સરળતાથી મળતા નથી તેથી બેંકે આ પગલું ભર્યુ છે.

હાલમાં જ રિઝર્વે બેંકે એક આરટીઆઈના જવાબમાં જણાવ્યું હતું કે કે વર્ષ 2016-17 દરમિયાન 2,000 રૂપિયાની 354.29 કરોડની નોટ છપાઈ હતી. જોકે, વર્ષ 2017-18માં આ સંખ્યા ઘટીને 11.15 કરોડ અને વર્ષ 2018-19માં 4.66 કરોડ પર આવી ગઈ છે. આનાથી સંકેતો મળી રહ્યા છે કે મોટા મુલ્યની 2,000ની નોટ ચલણમાં માન્ય તો રહેશે પરંતુ ધીરે ધીરે તેને વ્યવહારમાંથી દૂર કરવામાં આવશે.