નવી દિલ્હીઃ સામાન્ય બજેટ 2019 અગાઉ સૈન્યએ સંરક્ષણ મંત્રાલય પાસે મોટી માંગ કરી છે. સૈન્યએ સંરક્ષણ મંત્રાલયને કહ્યું કે, સૈન્ય ઉપકરણો અને હથિયારોની ખરીદી માટે સરકાર તરફથી જે બજેટ આપવામાં આવે છે તેમાં જીએસટી અને કસ્ટમ ટેક્સ પણ જોડીને ફંડ આપવામાં આવે. આ માંગ સૈન્યએ એટલા માટે કરી કારણ કે આ હથિયારોની ખરીદીમાં જીએસટી અને ઇન્કમટેક્સ પણ સરકારે આપવું પડે છે. નોંધનીય છે કે પાંચ જૂલાઇના રોજ મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઇ રહી છે.


નોંધનીય છે કે વચગાળાના બજેટમા સરકારે સૈન્ય માટે ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધારેનું ફંડ ફાળવ્યું હતું જે અત્યાર સુધી કોઇ પણ વર્ષના વચગાળાના બજેટમાં ફાળવવામાં આવેલી સૌથી વધુ રકમ છે. તે સમયે વચગાળાના બજેટ રજૂ કરી રહેલા ગોયલે લોકસભામાં બજેટ ભાષણ દરમિયાન આ વાતની જાણકારી આપી હતી. તેમણે 2019-20 માટે વચગાળાના બજેટ રજૂ કરતા કહ્યુ હતું કે, આપણા સૈનિક સરહદો પર દેશની રક્ષા કરે છે જેના પર અમને ગર્વ છે. અમે આપણી સરહદો  સુરક્ષિત બનાવવા માટે બજેટમાં 3 લાખ કરોડ રૂપિયાથી વધુ ફાળવણી કરી છે. જે અત્યાર સુધી સૌથી વધુ છે. જો જરૂર પડી તો વધારાનું ફંડ ફાળવવામાં આવશે.