નવી દિલ્હીઃ સરકારી ટેલિકોમ કંપની BSNLએ સરકારને એક એસઓએસ મોકલ્યું છે. જેમા કંપનીએ ઓપરેશન્સ ચાલુ રાખવામાં લગભગ અક્ષમતા વ્યક્ત કરી છે. કંપનીએ કહ્યું કે, રોકડની અછતના કારણે જૂનમાં લગભગ 850 કરોડ રૂપિયાની સેલેરી આપવી મુશ્કેલ છે. કંપની પર હાલમાં લગભગ 13 હજાર કરોડ રૂપિયા આઉસસ્ટેન્ડિંગ લાયબિલિટી છે જેના કારણે બીએસએનએલનો બિઝનેસ ઘટી રહ્યો છે.


BSNLના કોર્પોરેટ બજેટ એન્ડ બેન્કિંગ ડિવિઝનના સીનિયર જનરલ મેનેજર પૂરન ચંદ્રએ ટેલિકોમ મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરીને લખેલા એક પત્રમાં કહ્યુ છે કે દર મહિનાની આવક અને ખર્ચમાં અંતરના કારણે હવે કંપનીનું સંચાલન ચાલુ રાખવી ચિંતાનો વિષય બન્યો છે કારણ કે હવે તે એક એવા સ્તર પર પહોંચી ગયું છે કે જ્યાં કોઇ પણ પ્રકારની પુરતી ઇક્વિટી સામેલ કર્યા વિના કંપનીના ઓપરેશન્સ ચુ રાખવું લગભગ અસંભવ બન્યું છે.

નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ પોતે કેટલાક મહિના અગાઉ BSNLની હાલત પર બેઠક કરી હતી. આ દરમિયાન કંપનીના ચેરમેને વડાપ્રધાનને એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. જોકે, આ બેઠક બાદ પણ આ સમસ્યાનું કોઇ સમાધાન આવ્યું નથી. નોંધનીય છે કે BSNLએ ડિસેમ્બર 2018ના અંત સુધીમાં 90 હજાર કરોડ રૂપિયાથી વધુ ઓપરેશન્સ નુકસાન ઉઠાવ્યું હતું.