Indian Railway Rules: ભારતીય રેલ્વેએ આપણા બધાના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. દેશમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. તેથી જ રેલવેને ભારતની લાઈફલાઈન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મુસાફરોની સુરક્ષા માટે રેલવેએ ઘણા નિયમો બનાવ્યા છે. આ તેમને સુખદ અને સુરક્ષિત મુસાફરી કરવામાં મદદ કરે છે. શું તમે જાણો છો કે ટ્રેનમાં કેટલીક વસ્તુઓ લઈ જવાની સંપૂર્ણ મનાઈ છે. આ વસ્તુઓ સાથે મુસાફરી કરવા બદલ તમને દંડ પણ થઈ શકે છે અને સાથે સાથે તમને જેલ પણ થઈ શકે છે.


 






રેલવેએ મુસાફરોને આપી ચેતવણી 
પશ્ચિમ રેલવેએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને મુસાફરોને સૂચના આપી છે કે કોઈપણ પ્રકારની જ્વલનશીલ સામગ્રી એટલે કે ટ્રેનમાં આગ લાગી શકે તેવી વસ્તુઓ સાથે મુસાફરી ન કરવી. જો આમ કરતા કોઈ મુસાફર પકડાશે તો રેલવે તેમના પર દંડ લગાવી શકે છે. આ સાથે તેને જેલ અથવા બંને સજા થઈ શકે છે. રેલ્વેના ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે, કેરોસીન, પેટ્રોલ, ફટાકડા અને ગેસ સિલિન્ડર વગેરે જેવી જ્વલનશીલ સામગ્રી સાથે ન લઈ જવી અથવા ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોઈને પણ જ્વલનશીલ સામગ્રી લઈ જવાની મંજૂરી આપવી એ શિક્ષાપાત્ર ગુનો છે.


રેલવે કરી શકે છે  આ કાર્યવાહી
તમને જણાવી દઈએ કે ટ્રેન અથવા રેલવે પરિસરમાં કોઈપણ પ્રકારની જ્વલનશીલ સામગ્રી લાવવાની સખત મનાઈ હોય છે. જો તમે ટ્રેનમાં કોઈપણ પ્રકારનો જ્વલનશીલ પદાર્થ લઈ જાઓ છો, તો રેલવે તમારી વિરુદ્ધ રેલવે એક્ટ, 1989ની કલમ 164 હેઠળ કાર્યવાહી કરી શકે છે. જો આમ કરતા પકડાય તો મુસાફરને 3 વર્ષ સુધીની જેલ અથવા 1,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.


રેલવે પરિસરમાં આ વસ્તુઓ લઈ જવા પર છે પ્રતિબંધ
ટ્રેનમાં સૂકું ઘાસ, ગેસ સિલિન્ડર, ફટાકડા, પેટ્રોલ,માચીસ, કેરોસીન વગેરે લઈ જવાની મનાઈ છે. આ સાથે ટ્રેનમાં ધૂમ્રપાન પર પણ પ્રતિબંધ છે. જો આમ કરતા પકડાય તો તમને 3 વર્ષની જેલ અને દંડ અથવા બંને થઈ શકે છે.