સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ માર્ચ અને એપ્રિલના પ્રિમિયમની ચૂકવણી માટે પોલિસીધારકોને 30 દિવસની છૂટ આપવાની જાહેરાત કરી છે. એલઆઈસીએ કોવિડ-19 મહામારીને કારણે દેશમાં લાગુ લોકડાઉનને જોતાં પોલિસીધારકોને રાહત આપવાની જાહેરાત કરી છે.


એલઆઈસીએ કહ્યું હતું કે, ફેબ્રુઆરીના પ્રિમિયમ માટે વધારાનો સમય 22 માર્ચે ખતમ થયા બાદ 15 એપ્રિલ સુધી વધારી દેવામાં આવ્યો છે. નિવેદનમાં જણાવાયું છે કે, એલઆઈસીના વીમાધારકો સેવા શુલ્ક વગર એલઆઈસીના ડિજીટલ પેમેન્ટ વિકલ્પ મારફતે પ્રિમિયમની ચૂકવણી કરી શકે છે. વીમા કંપનીએ કહ્યું કે, પ્રિમિયમ ચૂકવણી માટે પોલિસીધારકોને વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. તે થોડી વિગતો આપીને પેમેન્ટ કરી શકે છે.

આ ઉપરાંત પ્રિમીયમનું પેમેન્ટ મોબાઈલ એપ એલઆઈસી પે ડાયરેક્ટને ડાઉનલોડ કરીને પણ કરી શકાય છે. નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પેટીએમ, ફોન પે, ગુગલ પે, ભીમ, યુપીઆઈ મારફતે પણ પ્રિમિયમનું પેમેન્ટ ભરી શકાય છે. આઈડીબીઆઈ બેંક અને એક્સિસ બેંકની શાખાઓ અને બ્લોક સ્તર પર પરિચાલન કરી રહેલ આમ સેવા કેન્દ્રો પર રોકડ મારફતે પણ પ્રિમિયમની ચૂકવણી કરી શકાય છે.

વીમા કંપનીએ પોલિસીધારકોને આશ્વાસન આપ્યું છે કે, કોવિડ 19થી મૃત્યુ થવા પર તેને અન્ય મામલાઓની સમાન જ માનવામાં આવશે અને તેમાં દાવો કરતાં તરત જ ચૂકવણીની વ્યવસ્થા કરવામાં આવશે.