નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)ના ઈકોરેપ રિપોર્ટ પ્રમાણે ભારતમાં પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 10 રૂપિયા સુધી સસ્તુ થઈ શકે છે. આ પાછળનું કારણ કોરોના વાયરસની મહામારી છે. કોરોના વાયરસના કારણે ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવમાં આશરે 30 ટકા સધી ઘટાડો થયો છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આટલો ઘટાડો થઈ શકે છે.


રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સરકાર એકસાઇઝ ડ્યૂટી ન વધારે તો જ આ શક્ય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ફ્યૂલની કિંમતમાં ઘટાડો કરવા ઈચ્છુક નહીં હોય તો લોકોને ક્રૂડ ઓઈલમાં ઘટાડાનો ફાયદો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા તરીકે નહીં મળી શકે.

કોરોના વાયરસના કારણે કોવિડ-19ની મહામારીથી વિશ્વભરના બજારોમાં હાહાકાર મચ્યો છે અને શેરબજારમાં રોજ ઘટાડો થઈ રહ્યો છે. આ ઉપરાંત ક્રૂડ ઓઈલના ભાવમાં છેલ્લા થોડા દિવસોમાં 30 ટકા સુધી ઘટાડો થયો છે. બ્રેંટ ક્રૂડનો ભાવ 30.85 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે. આ સ્થિતિમાં દેશમાં ક્રૂડ ઓઈલના ભાવની અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે.

પરંતુ તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર 3 રૂપિયાની એક્સાઇઝ ડ્યૂટી વધારી દીધી છે. જેના કારણે ઘટતી કિંમતનો પૂરો ફાયદો ગ્રાહકોને નથી મળી રહ્યો.