નવી દિલ્હીઃ કોરોનાના કારણે દેશની ઇકોનોમીને  બચાવવા માટે સરકાર હવે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે એક લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપવાની તૈયારી કરી રહી છે. જેની જાહેરાત સરકાર ટૂંક સમયમાં કરી શકે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે બે વરિષ્ઠ અધિકારીઓનો ટાંકીને આ જાણકારી આપી હતી. આ અગાઉ સરકારે દેશના ગરીબ લોકોને રાહત આપતા 1.7 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું. બાદમાં ઇન્ડસ્ટ્રી તરફથી રાહત આપવાની સતત માંગ કરવામાં આવી રહી હતી. ઉદ્યોગ ચેમ્બર્સ આ બાબતને લઇને દબાણ ઉભુ કરી રહ્યા હતા કે કોરોનાથી જો ઉદ્યોગ બચાવવો હશે તો સરકારે રાહત પેકેજની જાહેરાત કરવી પડશે.


ઇન્ડસ્ટ્રી ચેમ્બર અસોચૈમે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાને સહારો આપવા માટે ઓછામાં ઓછી 200 અબજ ડોલરની પ્રોત્સાહન રકમની જરૂર છે. જો ત્રણ મહિનામાં 50-100 અબજ ડોલરની જરૂર છે. આ રકમ નોકરીઓ અને આવકને થયેલા નુકસાનના વળતરના રૂપમાં હશે. સરકારે જીએસટીમાં ત્રણ મહિના માટે 50 ટકા અને આર્થિક વર્ષ માટે 25 ટકા ઓછો કરવા પર વિચાર કરવો જોઇએ. આ જ રીતે ઇન્ડસ્ટ્રી ચેમ્બર સીઆઇઆઇએ સરકાર પાસે માંગ કરી છે કે સાર્વજનિક બેન્કોમાં 30 હજાર કરોડ રૂપિયાની રકમનું રોકાણ કરવામાં આવે જેથી તે ઇન્ડસ્ટ્રીની મદદ કરી શકે.