નવી દિલ્હીઃ કોરોના વાયરસની ભારત સહિત દુનિયાની તમામ અર્થવ્યવસ્થાઓ પર ખરાબ અસર પડી છે. જેને જોતા રેટિંગ એજન્સી ફિચે વર્ષ 2020-21માં ભારતનો જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડીને 5.1 ટકા કરી દીધું છે. આ અગાઉ એસએન્ડપીએ પણ ભારતના જીડીપીનો ગ્રોથનો અંદાજ ઘટાડ્યો હતો.


નોંધનીય છે કે ફિચે ડિસેમ્બર 2019માં આ અંદાજ લગાવ્યો હતો કે નાણાકીય વર્ષ 2021-22માં ભારતના જીડીપીમાં 5.6 ટકા વધારો થશે. ફિચ રેટિંગ્સે શુક્રવારે કહ્યુ કે, કોરોના વાયરસના પ્રકોપના કારણે ભારતના રોકાણ અને નિકાસ પર વિપરીત અસર પડી શકે છે.

ફિચે પોતાના ગ્લોબલ ઇકોનોમિક આઉટલૂક 2020માં કહ્યું કે, આગામી સપ્તાહમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યા વધશે પરંતુ તેના પર કાબૂ મેળવી લેવામાં આવશે. જોકે, ઇકોનોમી પર તેની અસર આગળ પર ચાલુ રહેશે. સપ્લાય ચેનની અડચણોના કારણે બિઝનેસ રોકાણ અને નિકાસ પર અસર પડશે. નાણાકીય વર્ષ 2020-21માં ભારતનો જીડીપી ગ્રોથ 5.1 ટકા રહી શકે છે અને નાણાકીય વર્ષ 2019-20માં આ 5 ટકા રહેશે. ફિચે નાણાકીય વર્ષ 2021-22માં ભારતનો જીડીપીમાં 6.4 ટકાના વધારાનો અંદાજ લગાવ્યો હતો. નોંધનીય છે કે કોરોનાના કારણે મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે પણ ભારતનો જીડીપી ગ્રોથનો અંદાજ એકવાર ફરી ઘટાડ્યો હતો. મૂડીઝે 2020 માટે ભારતનો જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડીને 5.3 ટકા કરી દીધો હતો.