નવી દિલ્હીઃ કોરોના વાયરસ પર કાબુ મેળવવા દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન કોઈપણ સરકારી બેંક આગામી ત્રણ મહિના સુધી EMI વસૂલ નહીં કરે તેવી મંગળવારે 11 સરકારી બેંકોએ જાહેરાત કરી હતી. જે મુજબ 31 મે, 2020 સુધી કોઈ પણ પ્રકારની લોનનો ઈએમઆઈ નહીં વસૂલવામાં આવે.


કોરોના વાયરસના કારણે આર્થિક મંદીનો સામનો કરી રહેલા અર્થતંત્રને વેગ આપવા આરબીઆઈએ કેટલીક જાહેરાતો કરી હતી. જેના નિર્ણય મુજબ આરબીઆઈએ બેંકોને ઋણના માસિક હપ્તા (EMI)ની વસૂલીમાં ગ્રાહકોને 3 મહિનાની છૂટ આપવાની વાત કરી હતી.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, 1 માર્ચ, 2020ની સ્થિતિ મુજબ માસિક હપ્તા સાથે જોડાયેલા કોઈપણ પ્રકારના ઋણ પર ઈએમઆઈ ત્રણ મહિના સુધી રોકી દેવાની મંજૂરી બેંકોને આપવામાં આવી છે.