નવી દિલ્હીઃ સરકારે મંગળવારે કહ્યું કે, તેણે આઇટી અને બીપીઓ કંપનીઓને ઘરેથી જ કામ કરવા માટે બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇન 31 ડિસેમ્બર સુધી આગળ વધારી દીધી છે. ઘરેથી કામ કરવાનો સમયગાળો 31 જુલાઇએ પૂરો થઈ રહ્યો હતો.


ટેલીકોમ વિભાગે ટ્વીટમાં કહ્યું કે, “ટેલીકોમ વિભાગે કોવિડ-19ને કારણે વ્યાપેલી ચિંતાને જોતા ઘરેથી કામ કરવાની સુવિધા માટે સર્વિસ ઓપરેટરો માટે નિયમ અને શરતોમાં છૂટને 13 ડિસેમ્બર 2020 સુધી આગળ વધારી દીધા છે.” હાલમાં આઇટી કંપનીઓના લગભગ 85 ટકા કર્મચારી ઘરેથી કામ કરી રહ્યા છે અને માત્ર અતિ મહત્ત્વપૂર્ણ કાર્ય કરનારા કર્મચારીઓ જ ઓફિસ જઈ રહ્યા છે.

દેશમાં કોરોનાથી અત્યાર સુધી 28,000 લોકોના મોત

નોંધનીય છે કે, છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં બ્રાઝીલથી પણ વધારે કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના એક્ટિવની કેસ સંખ્યા ચાર લાખને પાર કરી ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 587 લોકોના મોત થયા છે અને 37,148 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,55,191 પર પહોંચી છે અને 28,084 લોકોના મોત થયા છે. 7,24,578 લોકો સાજા થઈ ગયા છે અને 4,02,529 એક્ટિવ કેસ છે.

કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. જો 10 લાખ વસતી પર સંક્રમિત મામલા અને મૃત્યુદરની વાત કરવામાં આવે તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. ભારતથી વધારે મામલા અમેરિકા અને બ્રાઝીલમાં છે.