Money Laundering Rules : ભારતના મની લોન્ડરિંગ કાયદા હવે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ પર પણ લાગુ થશે. 7 માર્ચે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં આ સ્પષ્ટિકરણ કરવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતો અને ફિયાટ ચલણ વચ્ચેનું વિનિમય, વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતોના એક અથવા વધુ સ્વરૂપો વચ્ચેનું વિનિમય અને ડિજિટલ અસ્કયામતોનું ટ્રાન્સફર મની લોન્ડરિંગના કાયદા હેઠળ આવરી લેવામાં આવશે.


શું લેવાયો નિર્ણય?


નોટિફિકેશનમાં વધુમાં જણાવાયું છે કે, વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતોને હોલ્ડિંગ કે તેનો ઉપયોગ કરવો અને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સની ઓફર અને વેચાણ સંબંધિત નાણાકીય સેવાઓમાં ભાગીદારી પણ આ હેઠળ આવરી લેવામાં આવશે.


રિપોર્ટ અનુસાર, ભારતમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલ અને નિયમો હજુ પણ ફાઇનલ થયા નથી. જોકે, ભારતીય રિઝર્વ બેંકે તેના ઉપયોગ અંગે લોકોને ઘણી વખત ચેતવણી આપી છે. આરબીઆઈએ કહ્યું છે કે, ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે તે નકલી સ્કીમ સમાન છે. એકવાર ક્રિપ્ટોકરન્સી પર મની લોન્ડરિંગનો નિયમ લાગુ થઈ જાય પછી વહીવટીતંત્ર દેશની સરહદોની બહાર આ સંપત્તિઓના ટ્રાન્સફર પર નજર રાખી શકશે.


રોઇટર્સના જણાવ્યા અનુસાર, નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર જે G-20 ફોરમનું પણ નેતૃત્વ કરી રહી છે, ક્રિપ્ટોકરન્સી દ્વારા ઉભા થતા જોખમોનો સામનો કરવા માટે વૈશ્વિક સર્વસંમતિ બનાવવાનો સતત પ્રયાસ કરી રહી છે.


ક્રિપ્ટોકરન્સી શું છે?


ક્રિપ્ટોકરન્સી કંઈક અલગ નથી પરંતુ ડિજિટલ કરન્સી છે. ક્રિપ્ટોગ્રાફી આ ડિજિટલ કરન્સીને સુરક્ષિત કરે છે, તેથી તેને ક્રિપ્ટોકરન્સી નામ આપવામાં આવ્યું છે. ક્રિપ્ટોગ્રાફી વિશે વાત કરીએ તો તે ડેટાને એવી રીતે સ્ટોર અને ટ્રાન્સમિટ કરવાનો છે કે જેમના માટે તે બનાવવામાં આવ્યો છે તે લોકો જ તેને વાંચી શકે. ક્રિપ્ટોગ્રાફી દ્વારા ડેટાને ચોરીથી સુરક્ષિત કરવામાં આવે છે. તેનો ઉપયોગ યુઝર ઓથેન્ટિકેશન માટે પણ થઈ શકે છે.


હવે ક્રિપ્ટોકરન્સીમાં થતા વ્યવહારને સમજીએ. ડિજીટલ કરન્સીની લેવડદેવડ વોલેટ દ્વારા થાય છે. જેમ સામાન્ય બેંક ખાતામાં થાય છે તે રીતે. જો કે, આ બાબતે વોલેટ નિયંત્રણમાં રહે છે.


કેન્દ્ર સરકારે તમામ ખાનગી ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી


કેન્દ્ર સરકારે તમામ ખાનગી ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી છે. સરકાર આ મામલે શિયાળુ સત્રમાં વિધેયક લાવશે. જેમાં થોડી છૂટછાટ પણ મળી શકે છે. RBIએ ડિજિટલ કરન્સી માટે ફ્રેમ વર્ક બનાવવાની પણ માંગ કરી છે. આ બિલ સંસદમાં પસાર કરાશે તો બીકોઇં જેવી કરન્સીમાં રોકાણ કરનારાઓ માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે.