નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કહેર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના કારણે પહેલાથી મંદીનો સામનો કરી રહેલા ઓટો સેક્ટર પર વિપરીત અસર થશે. લોકડાઉનના કારણે મોટાભાગની કંપનીએ તેમના પ્લાન્ટ બંધ કરી દીધા છે.


ઓટો મેન્યુફેક્ચરર્સ કંપનીઓની સંસ્થા SIAMના જણાવ્યા મુજબ, અમારા દ્વારા લગાવવામાં આવી રહેલા અંદાજ પ્રમાણે વાહન કંપનીઓને અને સ્પેરપાર્ટ્સ નિર્માતાના કારખાના બંધ થવાથી દરરોજ 2300 કરોડ રૂપિયાના કારોબારનું નુકસાન થશે.

લોકડાઉનના કારણે મારુતિ સુઝુકી ઈન્ડિયા, હ્યુન્ડાઇ, હોન્ડા, મહિન્દ્રા, ટોયોટા કિર્લોસ્કર, ટાટા મોટર્સ, કિયા મોટર્સ અને એમજી મોટર ઈન્ડિયા તેના પ્લાન્ટ અસ્થાયી રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત હીરો મોટો કોર્પ, હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કૂટર્સ ઈન્ડિયા, ટીવીએસ મોટર કંપની, બજાજ ઓટો, યામાહા, સુઝુકી મોટરસાયકલ જેવી ટૂ વ્હીલર બનાવતી કંપનીએ પણ ઉત્પાદન સ્થગિત કરી દીધું છે.

આ સિવાય ટાયર મેન્યુફેક્ચરર્સ અને વાહનોના સ્પેરપાર્ટ્સ બનાવતી અન્ય અગ્રણી  કંપનીઓએ પણ કોરોના વાયરસના કારણે ગતિવિધિ બંધ કરી દીધી છે.