નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે તમામ કાર માલિકોને અસર કરતો મોટો નિર્ણય લઈને સમગ્ર દેશમાં 1 જાન્યુઆરી, 2021થી બધા જ વાહનો માટે ટોલ બૂથ પર ફાસ્ટેગ ફરજિયાત કરી દીધું છે.


કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, તેમના મંત્રાલયે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 1 જાન્યુઆરીથી દરેક વાહનો પર ફાસ્ટેગ લગાવવું ફરજિયાત કરી દીધું છે. હવે કોઈ પણ કાર સહિતનાં મોટાં વાહનો 1 જાન્યુઆરીથી કાર અથવા મોટા વાહનો પર ફાસ્ટેગ લગાવ્યા વિના નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર જશે તો વધારે ટોલ ટેક્સ ચૂકવવો પડશે. નેશનલ હાઈવે પરથી પસાર થતાં ફાસ્ટેગ વિનાના વાહનો પાસેથી બમણો ટોલ વસૂલવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી છે કે,  ફાસ્ટેગ માત્ર નેશનલ હાઈવે માટે છે. સ્ટેટ હાઈવેના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ કામ નહીં કરે. ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વગરના વાહનો માટે એક લેન હશે. તેમાંથી પસાર થતા સામાન્ય ટોલ જ વસૂલવામાં આવશે.

આ સુવિધા પ્રવાસીઓ માટે લાભદાયક રહેશે.  તેમણે રોકડ ચૂકવણી, સમયની બચત અને ઈંધણ માટે ટોલ બૂથ પર રોકાવાની જરૂર નહીં પડે તેમ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું.

ફાસ્ટેગ રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન પર આધારિત એક ટેગ છે, જે ગાડીની વીન્ડસ્ક્રીન પર લગાવાય છે. આ ફાસ્ટેગને ટોલ પ્લાઝા પર લાગેલા કેમેરા તેને સ્કેન કરી શકશે અને ટોલ પ્લાઝાની રકમ આપમેળે કપાઈ જશે તેથી  ટોલનાકા પર ફી ચૂકવવા રોકાવું નહીં પડે. ફાસ્ટેગ ઓનલાઈન પેમેન્ટ મોડથી મોબાઈલની જેમ રિચાર્જ કરાવી શકાશે. આ સિવાય ફાસ્ટેગને માય ફાસ્ટેગ એપ અથવા નેટબેન્કિંગ મારફત પણ રિચાર્જ કરી શકાશે.