નવી દિલ્હીઃ એરસેલ મૈક્સિસ મામલામાં પૂર્વ નાણામંત્રી પી.ચિદંબરમ અને તેમના દીકરા કાર્તિ ચિદંબરમને કોર્ટે મોટી રાહત આપી છે. રાઉઝ એવેન્યૂ કોર્ટે પૂર્વ નાણામંત્રી અને તેમના દીકરાને આગોતરા જામીન આપ્યા છે. સીબીઆઇ તરફથી રજૂ થયેલા એએસજી એમ.નટરાજને કોર્ટને આઇએનએક્સ મીડિયા મામલામાં આજે આપેલા સુપ્રીમ કોર્ટના આદેશ પર વિચાર કરવાની વિનંતી કરી હતી. જોકે કોર્ટે સીબીઆઇ અને ઇડીની અરજીને ફગાવીને કહ્યું કે,આદેશ બે વાગ્યે આપવામાં આવશે અને બે વાગ્યા બાદ બંન્નેને જામીન આપવામાં આવ્યા હતા.


કોર્ટે ચિદંબરમ અને તેમના દીકરા કાર્તિને એક-એક લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર આગોતરા જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે, તે તપાસ એજન્સીઓને તપાસમાં સહયોગ કરે. નોંધનીય છે કે ચિદંબરમ અને તેમના દીકરા ચિદંબરમ વિરુદ્ધ એરસેલ મૈક્સિસ મામલામાં કેસ ચાલી રહ્યો છે. તેમના પર મની લોન્ડ્રરિંગનો આરોપ છે. સીબીઆઇ અને ઇડીએ આ મામલામાં ચિદંબરમ અને તેમના દીકરા વિરુદ્ધ ગયા વર્ષે જૂલાઇમાં ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે.


આ કેસ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ સાથે જોડાયેલો છે. વર્ષ 2006માં એરસેલ અને મૈક્સિસ ડીલને ચિદંબરમે નાણામંત્રી રહેલી મંજૂરી આપી હતી. ચિદંબરમ પર આરોપ છે કે તેમની પાસે 600 કરોડ રૂપિયા સુધીના પ્રોજેક્ટ પ્રસ્તાવને મંજૂરી આપવાનો અધિકાર હતો. પરંતુ તેમ છતાં આટલા મોટા પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે આર્થિક મામલાની સમિતિની મંજૂરી લેવી જરૂરી છે. એરસેલ-મૈક્સિસ ડીલ કેસ 3500 કરોડની એફડીઆઇ મંજૂરીનો હતો.

નોંધનીય છે કે INX મીડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હવે ED આ કેસમાં પૂછપરછ માટે તેમને કસ્ટડીમાં લઈ શકે છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે હવે એજન્સી નાણા મંત્રીની પૂછપરછ કરી શકે છે.સુપ્રીમ કોર્ટે આ મામલે આદેશ આપ્યો છે કે ઈડીએ જે દસ્તાવેજો એકત્ર કર્યા છે તે ચિદમ્બરમને બતાવવાની જરૂર નથી. આજે સાંજ સુધીમાં ઈડી પૂર્વ નાણામંત્રીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી શકે છે.