નવી દિલ્હીઃ કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે દેશમાં ઘણા લોકોની નોકરી જતી રહી હતી. અમુક કંપનીએ લોકોના પગાર ઘટાડી દીધા છે પરંતુ આ દરમિયાન હવે નોકરીયાત વર્ગ માટે બીજા એક માઠા સમાચાર આવી રહ્યા છે. આવતા વર્ષથી લોકોના પગારમાં ઘટાડો  થવા જઈ રહ્યો છે. જોકે કંપનીએ તો તમને વધારે ચુકવવી પડશે. આ વાત સાંભળી લોકોને ભારે હેરાની થશે. જોકે લાંબાગાળે કર્મચારીઓને તેનો મોટો ફાયદો થશે. આગામી વર્ષથી પગારના માળખામાં ધરમૂળથી ફેરફાર થઈ જશે.


આગામી વર્ષથી કેન્દ્ર સરકારની ન્યૂ વેજ કોડ અંતર્ગત કંપનીઓ પે પેકેજને રિસ્ટ્રક્ચર કરશે. નવા કંપેન્સેશન નિયમને  એપ્રિલ 2021થી લાગુ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. આ વેજ કોડ 2019નો ભાગ છે. નવા નિયમ અંતર્ગત અલાઉન્સ કમ્પોનેન્ટ કુલ સેલેરી કે કંપેનસેશનના 50 ટકાથી વધુ નથી હોતો. સરળ ભાષામાં કહીએ તો, કર્મચારીઓની બેઝિક સેલેરી ઓછામાં ઓછી 50 ટકા હોવી જોઇએ. નવા નિયમ અંતર્ગત પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી કમ્પોનેન્ટ પર પણ 1 એપ્રિલ 2021થી અસરમાં આવશે.

આ બિલને ગત વર્ષે જ સંસદમાં પાસ કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસ મહામારીની આ પરિસ્થિતિમાં કંપનીઓ પર તેની અસર જોવા મળી શકે છે. પબ્લિક ફીડબેક પ્રાપ્ત કર્યા બાદ કેન્દ્ર સરકાર આને નોટિફાઇ કરી દેશે. નવા નિયમ અંતર્ગત કર્મચારીઓની ગ્રેચ્યૂટી અને પ્રોવિડેન્ટ ફંડ યોગદાનમાં વધારો થશે. પરંતુ હાથમાં આવનારી સેલેરી થોડી ઓછી થઇ શકે છે.



આ નિયમ લાગુ થવાથી મોટાભાગની કંપનીઓ દ્વારા કર્મચારીઓને આપવામાં આવતા પેમેન્ટ સ્ટ્રક્ચરમાં ફેરફાર થઈ જશે. સામાન્ય રીતે આ કંપનીઓમાં નોન અલાઉન્સનો ભાગ ઓછો હોય છે. કેટલાક કિસ્સાઓમાં તો આ 50 ટકાથી પણ ઘણું ઓછું હોય છે. પરંતુ હવે કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડમાં કંપનીનું યોગદાન વધી જશે.

પ્રોવિડન્ટ ફંડમાં યોગદાન વધવાના કારણે ટેક હોમ સેલેરી એટલે કર્મચારીઓના હાથમાં આવનારી સેલેરી ઓછી થઇ જશે. જોકે તેમ છતાંયે સારી વાત એ છે કે, ટેક હોમ સેલેરી ઘટ્યા છતાં રિટાયરમેન્ટ પછી મળતા ફંડ વધી જશે. વર્તમાનમાં મોટાભાગની કંપનીઓમાં બેઝિક સેલેરીની સરખામણીમાં ભથ્થું વધારે હોય છે. આ જ કારણ છે કે, કેન્દ્ર સરકારના નવા નિયમના અમલ બાદ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને સૌથી વધુ અસર થશે.