ભારતમાં યુવાનોની મોટી વસ્તીમાં બેરોજગારી એક મોટી સમસ્યા છે. દરમિયાન, એક એવો ટ્રેડ સામે આવ્યો છે જેને લઇને નિષ્ણાતોથી લઈને નીતિ નિર્માતાઓ સુધી દરેકની ચિંતા વધારી છે. ગયા નાણાકીય વર્ષ દરમિયાન, દેશમાં હજારો લોકો છટણીનો શિકાર બન્યા હતા અને આશ્ચર્યજનક રીતે છટણી કરવામાં આવેલા લોકોમાં રિલાયન્સથી લઈને ટાટા સુધીના ઘણા દિગ્ગજોના નામ છે.


છટણી કરનારી કંપનીઓમાં તેમના નામ સામેલ છે


ETના એક અહેવાલમાં જણાવાયું છે કે ગત નાણાકીય વર્ષ દરમિયાન માત્ર રિટેલ ક્ષેત્રમાં જ 52 હજાર લોકોએ તેમની નોકરી ગુમાવી છે. છટણી કરતી કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિલાયન્સ રિટેલ, ટાટા ગ્રુપની ટાઇટન, રેમન્ડ, પેજ ઇન્ડસ્ટ્રીઝ, સ્પેન્સર વગેરે જેવી જાણીતી કંપનીઓનો સમાવેશ થાય છે. આ રિટેલ કંપનીઓના વાર્ષિક અહેવાલ દર્શાવે છે કે તેઓએ ગયા નાણાકીય વર્ષ દરમિયાન તેમના કર્મચારીઓમાં લગભગ 52 હજારનો મોટો ઘટાડો કર્યો છે.


એકલા રિલાયન્સ રિટેલમાં 38 હજારની છટણી


કર્મચારીઓની દ્રષ્ટિએ રિલાયન્સ રિટેલ સ્થાનિક રિટેલ માર્કેટમાં સૌથી મોટી કંપની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના તાજેતરના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2023-24માં તેના રિટેલ ક્ષેત્રમાં કર્મચારીઓની કુલ સંખ્યા ઘટીને 2,07,552 થઈ ગઈ છે, જે તેના કુલ કર્મચારીઓના લગભગ 60 ટકા જેટલી છે. એક વર્ષ પહેલા રિટેલ સેક્ટરમાં 2,45,581 કર્મચારીઓ કામ કરતા હતા. એટલે કે ગત નાણાકીય વર્ષ દરમિયાન રિલાયન્સ રિટેલમાં લગભગ 38 હજાર લોકોએ તેમની નોકરી ગુમાવી હતી.


ટાઇટનમાં પણ કર્મચારીઓમાં ઘટાડો થયો હતો


ગયા નાણાકીય વર્ષ દરમિયાન ટાઇટનના કર્મચારીઓની સંખ્યામાં 8,569 નો ઘટાડો થયો અને આંકડો 17,535 પર આવ્યો છે. પેજ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકોની સંખ્યા 31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં 22,564 થઈ ગઈ છે, જે અગાઉના વર્ષ કરતા 4,217 ઓછી છે. રિલાયન્સ રિટેલ, ટાઇટન, પેજ, રેમન્ડ અને સ્પેન્સર સહિત કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થવાનો આંકડો 52 હજાર સુધી પહોંચ્યો છે.


આ રિટેલ કંપનીઓએ વધારી કર્મચારીઓની સંખ્યા


જો કે બીજી તરફ રિટેલ ક્ષેત્રની ઘણી કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો થયો છે. નાણાકીય વર્ષ 2022-23માં ટાટા ગ્રુપના ટ્રેન્ટમાં કર્મચારીઓની સંખ્યા 19,716 હતી, જે નાણાકીય વર્ષ 2023-24માં વધીને 29,275 થઈ ગઈ છે. એ જ રીતે, ડી માર્ટના કર્મચારીઓની સંખ્યા 60,901 થી વધીને 73,932 થઈ ગઈ છે. Vmartના કર્મચારીઓની સંખ્યા 9,333 થી વધીને 10,935 થઇ છે.  જુબિલન્ટના કર્મચારીઓની સંખ્યા 32,752 થી વધીને 34,120 થઇ ગઇ છે.


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કુલ 42 હજારની છટણી


થોડા દિવસો પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશે એવા અહેવાલો આવ્યા હતા કે તેણે નાણાકીય વર્ષ 2023-24માં તેના કર્મચારીઓની કુલ સંખ્યામાં 42 હજારનો ઘટાડો કર્યો છે. શાર્ક ટેન્કના જજ અનુપમ મિત્તલે આ સમાચાર શેર કર્યા હતા, જેના કારણે તેની ચર્ચા થવા લાગી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં રિટેલ ઉપરાંત રિલાયન્સ જિયોમાં પણ મોટી છટણી કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2023-24ના અંતે Jioમાં કર્મચારીઓની સંખ્યા 95,326 થી ઘટીને 90,067 પર આવી ગઈ છે.