નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોટો ફેંસલો લીધો છે. સરકારે કંપનીઝ એક્ટમાં બદલાવ કર્યો છે. જે મુજબ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળની સાથે પીએમ કેયર્સને પણ માન્યતા આપવામાં આવી છે. એટલે હવે સીએસઆર ફંડ પીએમ કેયર્સ ફંડમાં પણ આપી શકાશે.


આ પહેલા માર્ચ મહિનામાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, પીએમ કેયર્સમાં આપવામાં આવેલા ફંડને સીએસઆર ખર્ચ માનવામાં આવશે. જે બાદ કોર્પોરેટ બાબતોના મંત્રાલયે વિજ્ઞાપન આપી સ્પષ્ટતા કરી હતી કે કંપનીઓ તરફથી આપવામાં આવેલા દાનની રકમને તેમની સીએસઆર એક્ટિવિટીમાં ગણવામાં આવશે.

કોર્પોરેટ સોશિયલ રિસ્પોંસિબિલિટી એટલે કે સીએસઆરનો મતલબ કંપનીઓએ તેમની સામાજિક જવાબદારી અંગે બતાવવાનો છે. ભારતમાં સીએસઆરનો નિયમ એક એપ્રિલ, 2014થી લાગુ છે.

શું છે નિયમ
જે કંપનીઓની નેટવર્થ 500 કરોડ રૂપિયા કે વાર્ષિક આવક 1000 કરોડ રૂપિયા કે વાર્ષિક લાભ પાંચ કરોડ રૂપિયા હોય તો તેમણે સીએસઆર ખર્ચ કરવો જરૂરી હોય છે.