નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે દેશભરમાં સરકાર મોટા નિર્ણય લઈ રહી છે. હવે કેન્દ્ર સરકારે નાની બચત યોજનાના વ્યાજ દરમાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી નાની બચત યોજનામાં રોકાણ કરનાર લાખો લોકોને મોટો ઝાટકો લાગ્યો છે. એપ્રિલથી જૂન સુધી પીપીએફ, સુકન્યા યોજના અને પોસ્ટ ઓફિસ એફડીના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.


સરકારના આ નિર્ણય બાદ આમ આદમીને આ આ લોકડાઉનની વચ્ચે મોટો ઝાટકો લાગ્યો છે. આ ઘટાડો 0.7 ટકાથી લઈને 1.4 ટકા સુધી કરવામાં આવ્યો છે. સરકારે પીપીએફ પર મળનારા વ્યાજદરમાં 0.8 ટકાનો ઘટાડો કર્યો છે. જ્યારે પોસ્ટ ઓફિસ એફડી પર મળનારા વ્યાજ દરમાં 1.4 ટકાનો ઘટાડો કર્યો છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 0.8 ટકાનો ઘટાડો કર્યો છે.



જો લોકપ્રિય યોજનાઓની વાત કરવામાં આવે તો તેમાં સૌથી પહેલા પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજના આવે છે. ઉપરાંત લાખો લોકોએ પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટમાં પણ પોતાની બચત કરી છે.

હવે ઘટાડા બાદ પીપીએફ એકાઉન્ટ પર વ્યાજ દર 7.1 ટકા રહી જશે. સુકન્યા યોજનાની વાત કરીએ તો તેમાં હવે 7.6 ટકા વ્યાજ મળશે. જ્યારે નેશનલ સેવિંગ્સ સ્કીમ એટલે કે એનએસસી પર 6.8 ટકા વ્યાજ મળશે. જણાવીએ કે, આ ઓજનામાં આ પહેલા 7.9 ટકા વ્યાજ મળતું હતું.

આ ઉપરાંત કિસાન વિકાસ પત્ર પર પણ વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેમાં 0.70 ટકાના ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યાર બાદ હવે તેના પર વ્યાજ દર ઘટીને 6.9 ટકા રહી જસે. જ્યારે 5 વર્ષની સીનિયર સિટીઝન સ્કીમમાં 1.2 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે હવે 8.6 ટકાથી ઘટીને 7.4 ટકા કરવામાં આવ્યો છે.