સપ્ટેમ્બર મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નું ગ્રોસ કલેક્શન વાર્ષિક ધોરણે 6.5 ટકા વધીને લગભગ રૂ. 1.73 લાખ કરોડ થયું છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં ગ્રોસ GST કલેક્શન રૂ. 1.63 લાખ કરોડ હતું. જ્યારે ઓગસ્ટ 2024માં GST કલેક્શન 1.75 લાખ કરોડ રૂપિયા હતું. સત્તાવાર માહિતી અનુસાર, સપ્ટેમ્બરમાં સ્થાનિક ટેક્સની આવક 5.9 ટકા વધીને લગભગ રૂ. 1.27 લાખ કરોડ થઈ છે.






માલની આયાતથી આવક આઠ ટકા વધીને રૂ. 45,390 કરોડ થઈ છે. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન, GST વિભાગ દ્વારા રૂ. 20,458 કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા હતા, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં 31 ટકા વધુ છે. રિફંડની રકમને સમાયોજિત કર્યા પછી, સપ્ટેમ્બરમાં નેટ GST આવક રૂ. 1.53 લાખ કરોડ રહી હતી. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 3.9 ટકા વધુ છે.


GST એન્ટિ-પ્રોફિટિયરિંગ સિસ્ટમ 1 એપ્રિલ, 2025થી અમલમાં રહેશે નહીં 


1 એપ્રિલ, 2025 થી GST એન્ટિ-પ્રોફિટિયરિંગ વ્યવસ્થા અમલમાં રહેશે નહીં. સરકારે GST કાયદામાં નફાખોરીને અંકુશમાં લેવા સંબંધિત જોગવાઈને નાબૂદ કરવાની તારીખ તરીકે 1 એપ્રિલ, 2025ની તારીખ જાહેર કરી છે. ઉપરાંત, 1 ઓક્ટોબરથી, નફાખોરી વિરોધી જોગવાઈઓ હેઠળની તમામ પડતર ફરિયાદોનો નિર્ણય GST એપેલેટ ટ્રિબ્યુનલ (GSTAT) ની મુખ્ય બેંચ દ્વારા કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ને બદલે લેવામાં આવશે, તેમ સરકારના GST પોલિસી સેલે અન્ય એક સૂચનામાં જણાવ્યું હતું. આ સૂચનાઓ GST કાઉન્સિલની ભલામણોને અનુરૂપ છે. કાઉન્સિલે 22 જૂને તેની 53મી બેઠકમાં GST હેઠળ નફાખોરી વિરોધી જોગવાઈઓને દૂર કરવા અને GST અપીલની મુખ્ય બેંચ દ્વારા નફાખોરી વિરોધી કેસોની સુનાવણી કરવાની મંજૂરી આપવા માટે સેન્ટ્રલ GST એક્ટ, 2017ની કલમ 171 અને કલમ 109માં સુધારાની ભલામણ કરી હતી. 


કાઉન્સિલે કોઈપણ નવી એન્ટિ-પ્રોફિટિયરિંગ અરજીઓ મેળવવા માટે 1 એપ્રિલ, 2025ની સમયમર્યાદાની પણ ભલામણ કરી હતી. GST પોલિસી સેલના નોટિફિકેશનનો અર્થ એ છે કે ગ્રાહકો 1 એપ્રિલ, 2025 થી GST દર ઘટાડાનો લાભ નહીં આપતી કંપનીઓ સામે નફાખોરી અંગે ફરિયાદો નોંધાવી શકશે નહીં. જો કે, 1 એપ્રિલ, 2025 પહેલા દાખલ થયેલી ફરિયાદો પર GST એપેલેટ ટ્રિબ્યુનલની પ્રિન્સિપલ બેંચ દ્વારા અંતિમ નિષ્કર્ષ પર ન આવે ત્યાં સુધી કાર્યવાહી કરવામાં આવશે.