નવી દિલ્હી: જીએસટી કાઉન્સિલની શનિવારે યોજાયેલી 28મી બેઠકમાં કેટલીક મહત્વની વસ્તુઓ પર જીએસટી દર માં ઘટાડો કરવામાં આવ્યો છે. આ બેઠકમાં જીએસટી કાઉન્સિલે મોટો નિર્ણય કર્યો છે, જેના બાદ હોમ એપલાયન્સેજ પર લગાવવામાં આવેલ 28 ટકા જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.


સામાન્ય લોકોને રાહત આપતા જીએસટી કાઉન્સિલ દ્વારા ફ્રિજ, ટીવી, એસી, વોશિંગ મશીન જેવી 17 કંજ્યુમર ડ્યુરેબલ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર ટેક્સ 28 ટકાથી ઘટાડી 18 ટકા કરવામાં આવ્યો છે. સેનિટરી નેપકીન પર 12 ટકા જીએસટી હતી જેને હટાવી ટેક્સ ફ્રી કરવામાં આવી છે. સાનું-ચાંદી વગરની રાખડીઓ, માર્બલ અથવા લાકડામાંથી બનતી મૂર્તીઓ, હેન્ડીક્રાફ્ટ સાથે સંકળાયેલ વસ્તુઓને ટેક્સ ફ્રી જેવી વસ્તુઓને પણ ટેક્સ ફ્રી કરવામાં આવી છે.

આ વસ્તુઓ પર ઘટાડવામાં આવ્યો જીએસટી દર
-1000 રૂપિયા સુધીના બુટ પર 5 ટકા, 68 સેમી સુધીનું ટીવી, ફ્રિજ, એસી, વોશિંગ મશીન, મિક્સર-ગ્રાઇન્ડર-જ્યુસર, વોટર કુલર, વોટર હિટર, શેવર, લીથિયમ, આયરન બેટરી, હેન્ડલુમની કાર્પેટ, વણાયેલી ટોપીઓ, સેન્ટ, પરફ્યૂમ, પેઈન્ટ પર 18 ટકા જીએસટી લાગશે. એથેનોલ પર GST 18% ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

જીએસટી કાઉન્સિલની 28મી બેઠકની અધ્યક્ષતા નાણામંત્રીનો કાર્યભાર સંભાળી રહેલા પીયૂષ ગોયલે પ્રથમવાર કરી. પીયૂષ ગોયલે જણાવ્યું કે, નવો ટેક્સ દર 27 જુલાઇથી લાગુ કરવામાં આવશે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક 4 ઓગસ્ટે કેરળમાં યોજાશે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાના વેપારીઓને પણ રાહત આપવામાં આવી છે. જીએસટી કાઉન્સિલે રિટર્ન ભરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાની મંજૂરી આપી દીધી છે. હવે વેપારીઓએ સિંગલ પેજ રિટર્ન ભરવાનું રહેશે. આ ઉપરાંત અત્યારસુધી એક મહિનામાં ત્રણની જગ્યાએ માત્ર એક રિટર્ન જ દાખલ કરવું પડશે. વર્ષે પાંચ કરોડ રૂપિયા સુધી ટર્નઓવરવાળા વેપારીઓને ત્રિમાસિક રિટર્ન ભરવા પડશે. કાઉન્સિલે જીએસટી કાયદામાં પ્રસ્તાવિત 46 ફેરફારોને મંજૂરી આપી છે. લગભગ 93 ટકા વેપારીઓને મોટી રાહત મળશે.