અમદાવાદઃ આઈસીએઆઈની ડબલ્યુઆઈઆરસીની અમદાવાદ બ્રાન્ચે દેશમાં જીએસટીની રજૂઆતને ત્રણ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીનાં ભાગરૂપે જીએસટી હેલ્પ ડેસ્કની રજુઆત કરી છે. આઈસીએઆઈનાં પ્રેસિડેન્ટ સીએ અતુલકુમારનાં નેતૃત્વ હેઠળ કરદાતાઓને મદદરૂપ થવા દેશભરમાં જીએસટી હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે.


હેલ્પ ડેસ્ક પ્રોફેશનલ્સ તેમજ નાના કરદાતાઓને મદદરૂપ થશે

અમદાવાદમાં શરૂ થયેલી વર્ચ્યુઅલ હેલ્પ ડેસ્કને સીજીએસટીનાં પ્રિન્સીપાલ ચીફ કમિશ્નર, અમદાવાદ ઝોન અજય જૈન દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે આઈસીએઆઈનાં સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ અનિકેત તલાટી પણ હાજર રહ્યા હતાં. અજય જૈન જીએસટીની લો કમિટીનાં સભ્ય તરીકે વર્ષ ૨૦૧૦થી કાર્યરત હતાં. દેશભરમાં જીએસટી કાયદાનો ડ્રાફટ લો કમિટી દ્વારા ઘડવામાં આવ્યો હતો. અમદાવાદમાં જીએસટી હેલ્પ ડેસ્કની રજૂઆત પ્રસંગે અજય જૈને જણાવ્યું કે આ હેલ્પ ડેસ્ક પ્રોફેશનલ્સ તેમજ નાના કરદાતાઓને મદદરૂપ થશે કે જેમને કન્સલ્ટન્ટસની સેવાઓ પ્રાપ્ત થતી નથી.

કોઈપણ વ્યક્તિ જીએસટીની જાણકારી અને માર્ગદર્શન મેળવી શકશે

અમદાવાદ બ્રાન્ચનાં ચેરમેન સીએ ફેનિલ શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ હેલ્પ ડેસ્કને કારણે સભ્યોને જીએસટીનાં કાયદાઓનું અર્થઘટન કરવું સરળ બનશે. જેના કારણે સભ્યો તેમનાં કલાયન્ટસને સરળતાપૂર્વક સમજાવી શકશે. અમદાવાદ બ્રાન્ચનાં સેક્રેટરી સીએ બિશન શાહે જણાવ્યું કે, પેનલમાં ૪૫થી પણ વધુ નિષ્ણાતો છે. જીએસટી હેલ્પ ડેસ્ક પર કોઈપણ વ્યક્તિ જીએસટી અંગેની જાણકારી અને માર્ગદર્શન મેળવી શકે છે.

માર્ગદર્શન મેળવનારા વ્યક્તિની ઓળખ રખાશે ગુપ્ત

ચેરમેન સીએ ફેનિલ શાહે ઉમેર્યુ કે હેલ્પ ડેસ્ક પર માર્ગદર્શન મેળવી રહેલી વ્યક્તિની ઓળખ નિષ્ણાતોની પેનલથી ગુપ્ત રાખવામાં આવશે.

સીએ બિશન શાહે આ પ્રસંગે સીએ મેમ્બર્સને અપીલ કરતા જણાવ્યું કે, સીએ મેમ્બર્સ તેનો મહત્તમ ફાયદો મેળવીને કરદાતાઓની મુંઝવણોનો ઉકેલ લાવે તે જરૂરી છે. કરદાતાની મૂંઝવણોનાં મુદ્દાઓનો અહેવાલ આઈડીટીસી, નવી દિલ્હી અને જીએસટી અધિકારીઓને આપવામાં આવશે.