Emergency Fund News: આપણી જિંદગીમાં ક્યારે કેવા પ્રકારના આર્થિક સંકટ સામે આવી જાય, તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. અચાનક નોકરી જતી રહેવી, મેડિકલ ઈમરજન્સી આવી જવી કે બિઝનેસમાં નુકસાન થવા જેવી પરિસ્થિતિઓનો સામનો કોઈને પણ કરવો પડી શકે છે. આવા મુશ્કેલ સમયમાં જો તમારી પાસે પૂરતી બચત નથી, તો તમારે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી શકે છે. આ જ કારણે ફાઇનાન્સિયલ નિષ્ણાતો નિયમિત બચતની સાથે-સાથે ઈમરજન્સી ફંડ બનાવવાની સલાહ આપે છે.
ઈમરજન્સી ફંડ નાણાકીય સુરક્ષાનું એક એવું માધ્યમ છે, જે મુશ્કેલ સમયમાં તમારા જરૂરી ખર્ચાઓ માટે કામ આવી શકે છે. મોટાભાગના લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આખરે ઈમરજન્સી ફંડ માટે કેટલી રકમ હોવી જોઈએ. ચાલો જાણીએ એવી સરળ રીતો, જેના દ્વારા તમે ઈમરજન્સી ફંડ તૈયાર કરી શકો છો.
શું છે 3-6-9 રૂલ?
3-6-9 રૂલ મુજબ તમારે તમારા માસિક જરૂરી ખર્ચાઓના 3, 6 અથવા 9 ગણા પૈસા ઈમરજન્સી ફંડ તરીકે અલગ રાખવા જોઈએ. આમાં ઘરનું ભાડું, લોનની EMI, રાશન, લાઈટ-પાણીના બિલ અને અન્ય જરૂરી ખર્ચાઓ સામેલ છે.
- 3 મહિનાનું ફંડ: જે લોકોની નોકરી સ્થિર છે અને પરિવારમાં આવકના અન્ય સ્ત્રોત સ્થીર છે, તેમણે ઓછામાં ઓછા 3 મહિનાના ખર્ચ જેટલું ફંડ તૈયાર રાખવું જોઈએ.
- 6 મહિનાનું ફંડ: પગારદાર (સેલેરીડ) કર્મચારીઓ માટે આ સૌથી શ્રેષ્ઠ ઓપ્શન માનવામાં આવે છે. આ અચાનક નોકરી જવા કે કોઈ આપાતકાલીન સ્થિતિમાં તમારો સહારો બની શકે છે.
- 9 થી 12 મહિનાનું ફંડ: બિઝનેસ કરનારા, ફ્રીલાન્સર્સ કે પરિવારમાં એકમાત્ર કમાનાર સભ્ય માટે 9 થી 12 મહિનાના ખર્ચ જેટલું ફંડ રાખવું વધુ સુરક્ષિત ગણાય છે.
ઈમરજન્સી ફંડ કેવી રીતે બનાવવું?
- સૌથી પહેલાં તમારા તમામ જરૂરી માસિક ખર્ચાઓનું લિસ્ટ બનાવો.
- ઈમરજન્સી ફંડ માટે અલગ બેંક એકાઉન્ટ અથવા ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શન પસંદ કરો.
- સેલેરી આવતા જ 5% થી 10% રકમ ઓટોમેટિક આ ફંડમાં ટ્રાન્સફર કરવાની ટેવ પાડો.
- ધીમે-ધીમે આ ફંડ વધારતા રહો અને તેનો ઉપયોગ માત્ર ઈમરજન્સીમાં જ કરો.
- જોખમ ધરાવતા રોકાણોના બદલે સુરક્ષિત અને ઝડપથી ઉપાડી શકાય તેવા સાધનોને પ્રાથમિકતા આપો.
કેટલું ફંડ હોવું જોઈએ?
ઉદાહરણ તરીકે જો તમારો જરૂરી માસિક ખર્ચ 30,000 રૂપિયા છે, તો 3-6-9 રૂલ મુજબ તમારું ઈમરજન્સી ફંડ આ મુજબ હોઈ શકે છે:
| સમયગાળો | જરૂરી ઈમરજન્સી ફંડ |
| 3 મહિનાના ખર્ચ માટે | ₹90,000 |
| 6 મહિનાના ખર્ચ માટે | ₹1,80,000 |
| 9 મહિનાના ખર્ચ માટે | ₹2,70,000 |
| 12 મહિનાના ખર્ચ માટે | ₹3,60,000 |
ઈમરજન્સી ફંડ ક્યાં રાખવું?
ઈમરજન્સી ફંડ હંમેશાં એવી જગ્યાએ રોકવું જોઈએ જ્યાંથી જરૂર પડ્યે વગર કોઈ મુશ્કેલીએ તરત જ પૈસા ઉપાડી શકાય.
- સેવિંગ્સ એકાઉન્ટ: અચાનક આવતા ખર્ચાઓ માટે અમુક હિસ્સો બેંક ખાતામાં રાખો, જેથી જરૂર પડે તરત જ વાપરી શકાય.
- લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ: અહીં ઉત્તમ લિક્વિડિટીની સાથે તમને સેવિંગ્સ એકાઉન્ટ કરતાં વધુ સારું વળતર મળી શકે છે.
- ફિક્સ્ડ ડિપોઝિટ (FD): એવી FD પસંદ કરો જેને જરૂર પડ્યે ઓનલાઈન સરળતાથી તોડી શકાય.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
ઈમરજન્સી ફંડને તમારા સામાન્ય ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોથી અલગ રાખો.
આ પૈસાનો ઉપયોગ માત્ર અચાનક આવી પડેલી જરૂરિયાતો પર જ કરો.
દર વર્ષે તમારા વધતા ખર્ચાઓ મુજબ ફંડની સમીક્ષા કરો.
સેલેરી વધવાની સાથે ઈમરજન્સી ફંડની રકમ પણ વધારતા રહો.
આ પૈસા વેકેશન, શોપિંગ કે અન્ય બિનજરૂરી ખર્ચાઓમાં વાપરવાનું ટાળો.
