LPG gas rule changes: જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ દેશભરમાં રસોઈ ગેસ (LPG) અને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) ના નિયમોમાં મોટા ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. ગેસના કાળાબજારને રોકવા અને સબસિડીનો લાભ સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકાર અને તેલ કંપનીઓએ આજથી સિલિન્ડરની ડિલિવરી માટે OTP અને DAC (ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ) વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સબસિડીના નિયમોમાં ફેરફાર અને PNG કનેક્શનને લગતી નવી કડક જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવી છે, જેની સીધી અસર સામાન્ય જનતાના રોજિંદા જીવન અને બજેટ પર પડશે.

Continues below advertisement

સરકાર દ્વારા લાગુ કરાયેલા આ 4 મહત્વપૂર્ણ ફેરફારોની વિગતવાર માહિતી નીચે મુજબ છે:

1. સિલિન્ડર ડિલિવરી માટે OTP અને DAC વેરિફિકેશન ફરજિયાત

Continues below advertisement

ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે હવેથી સુરક્ષા કડક કરવામાં આવી છે. ગ્રાહક સિલિન્ડર બુક કરાવશે કે તરત જ તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP અને ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) મોકલવામાં આવશે. જ્યારે ડિલિવરી એક્ઝિક્યુટિવ ઘરે આવે, ત્યારે આ કોડ તેની સાથે શેર કરવો ફરજિયાત છે. જો વેરિફિકેશન નિષ્ફળ જશે, તો ગ્રાહક પાસે બુકિંગની રસીદ હોવા છતાં તેને સિલિન્ડર આપવામાં આવશે નહીં. પ્રક્રિયા સફળતાપૂર્વક પૂરી થયા બાદ ગ્રાહકના મોબાઈલ પર ડિજિટલ કેશ મેમો આવશે, જેમાં કિંમત, ચુકવણીની વિગતો અને તારીખ સામેલ હશે.

2. ઉજ્જવલા યોજના: e-KYC અનિવાર્ય અને સબસિડીની મર્યાદામાં ઘટાડો

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓએ 30 જૂન 2026 સુધીમાં પોતાનું ઈ-કેવાયસી (e-KYC) પૂરું નથી કર્યું, તેમની સબસિડી હવેથી અટકાવી દેવામાં આવશે. સબસિડી ચાલુ રાખવા માટે e-KYC કરાવવું કડક રીતે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, અગાઉ સરકાર વાર્ષિક મહત્તમ 9 સિલિન્ડર પર ₹300 ની સબસિડી આપતી હતી. પરંતુ મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલી રાજકીય અને આર્થિક અસ્થિરતાને ટાંકીને સરકારે મોટો નિર્ણય લીધો છે. હવેથી લાભાર્થીઓને દર વર્ષે માત્ર 4 સિલિન્ડર પર જ સબસિડીનો લાભ મળશે.

આ પણ વાંચોઃ 1 જુલાઈથી બદલાઈ રહ્યા છે LPG ગેસ સિલિન્ડરના નિયમો: ગ્રાહકો માટે આ 5 મોટા ફેરફારો જાણવા અત્યંત જરૂરી

3. PNG અને LPG ના એકસાથે ઉપયોગ પર પ્રતિબંધ

જે ઘરોમાં PNG (પાઈપલાઈન નેચરલ ગેસ) કનેક્શન સક્રિય છે અને તેઓ LPG સિલિન્ડરનો પણ ઉપયોગ કરી રહ્યા છે, તેમના માટે નવો નિયમ લાગુ કરાયો છે. આવા ગ્રાહકોએ પોતાનું PNG કનેક્શન ચાલુ રાખીને 30 દિવસની અંદર પોતાનો LPG સિલિન્ડર જમા કરાવવો પડશે. સિલિન્ડર પરત કરવાના બદલામાં ગ્રાહકને એક 'ટ્રાન્સફર વાઉચર' આપવામાં આવશે. જો ભવિષ્યમાં ગ્રાહક એવા વિસ્તારમાં રહેવા જાય જ્યાં PNG ની સુવિધા નથી, તો આ વાઉચરનો ઉપયોગ કરીને નવું LPG કનેક્શન સરળતાથી મેળવી શકાશે.

4. PNG બિલ ન ભરવા પર કનેક્શન કપાશે અને દંડ ફટકારાશે

PNG ગ્રાહકો માટે બિલની ચુકવણીના નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે. જો કોઈ ગ્રાહક સતત 2 મહિના સુધી પોતાનું PNG બિલ ચૂકવવામાં નિષ્ફળ જશે, તો તેનું કનેક્શન કાપી નાખવામાં આવશે. તમામ બાકી લેણાં ચૂકવ્યા પછી જ સેવા ફરીથી શરૂ કરવામાં આવશે. વધુમાં, જો તપાસમાં જાણવા મળે કે ગ્રાહકે જાણીજોઈને PNG પાઇપલાઇન અથવા તેના વાલ્વને નુકસાન પહોંચાડ્યું છે, તો સમારકામનો પૂરેપૂરો ખર્ચ ગ્રાહકે જ ભોગવવો પડશે.

આ પણ વાંચોઃ 30 જૂન પહેલા પતાવી લો આ મહત્વના કામ: LPG e-KYC થી લઈને ટેક્સ સંબંધિત નિયમોમાં ફેરફાર