Stock Market Closing On 13 March 2024: બુધવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં હાહાકાર મચી ગયો. બજારમાં ભારે વેચવાલીથી રોકાણકારોને આજના સત્રમાં રૂ. 14 લાખ કરોડનું મોટું નુકસાન થયું છે. બજારમાં ઘટાડો મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલીથી શરૂ થયો હતો. પરંતુ બપોરે લાર્જ કેપ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 924 પોઈન્ટ ઘટીને 73,000 ની નીચે 72,743 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 352 પોઈન્ટ ઘટીને 22000ની નીચે 21,982 પોઈન્ટ પર બંધ થયો હતો. એક સમયે સેન્સેક્સ 1150 પોઈન્ટ્સ અને નિફ્ટી 430 પોઈન્ટ્સ તૂટ્યો હતો.

 

રોકાણકારોને રૂ. 13.50 લાખ કરોડનું નુકસાન થયું 

ભારતીય શેરબજારમાં ઘટાડાની આ સુનામીના કારણે બજારની મૂડીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. 372.11 લાખ કરોડ થયું છે જે ગયા સત્રમાં રૂ. 385.57 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોને રૂ. 13.46 લાખ કરોડનું નુકસાન થયું છે.

ઈન્ડેક્સનું નામ બંધ સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર ટકાવારીમાં
BSE Sensex 72,761.89 74,052.75 72,515.71 -1.23%
BSE SmallCap 40,641.67 42,998.39 40,503.53 -5.11%
India VIX 14.43 15.01 13.53 5.83%
NIFTY Midcap 100 45,971.40 48,278.00 45,656.85 -4.40%
NIFTY Smallcap 100 14,295.05 15,176.80 14,213.55 -5.28%
NIfty smallcap 50 6,617.80 7,007.25 6,581.15 -5.25%
Nifty 100 22,399.00 22,944.05 22,294.45 -1.93%
Nifty 200 12,008.80 12,344.45 11,949.05 -2.32%
Nifty 50 21,997.70 22,446.75 21,905.65 -1.51%

અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં ₹90,000 કરોડનો ઘટાડો 
બુધવારે 13 માર્ચે અદાણી ગ્રુપના શેરમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. શેરબજારોની નબળાઈ વચ્ચે અદાણી ગ્રુપના શેરમાં આજે લગભગ 13 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ગ્રુપની તમામ 10 કંપનીઓના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. જેના કારણે બપોર સુધીમાં અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુમાં આશરે રૂ. 90,000 કરોડનો ઘટાડો થયો હતો. સૌથી મોટો ઘટાડો અદાણી ગ્રીન એનર્જીના શેરમાં જોવા મળ્યો હતો, જે ઇન્ટ્રાડે 13 ટકા ઘટીને રૂ. 1,650ની નીચી સપાટીએ હતો.

7 માર્ચથી 13 માર્ચ સુધીમાં રોકાણકારોને લગભગ 21 લાખ કરોડ રૂપિયાનું નુકસાન 

શેરબજારમાં નવો ઓલ ટાઈમ હાઈ બન્યો, રોકાણકારો પર પૈસાની વર્ષા થઈ અને પછી બજાર તૂટવાના સમાચાર આવ્યા. ઉપલા સ્તરેથી વેચવાલીથી મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરને સૌથી વધુ નુકસાન થયું. જો સેક્ટોરલ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો તેમાં રિયલ્ટી, ફાર્મા, મેટલ, ઓટો અને અન્યનો પણ સમાવેશ થાય છે. ડિફેન્સ, શિપિંગ અને રેલવે શેર્સમાં પણ મજબૂત પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. 7 માર્ચથી 13 માર્ચ સુધીના ડેટા અનુસાર રોકાણકારોને લગભગ 21 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બજારમાં ચાલી રહેલી ભારે વેચવાલીમાં મિડ-સ્મોલકેપ સેક્ટર અગ્રેસર છે. તો શું મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં બમ્પર તેજીનો બબલ ફૂટ્યો છે?

13 માર્ચે બજારમાં ભારે વેચાણ નોંધાયું હતું. સારા વૈશ્વિક સંકેતો અને ફુગાવાના દરમાં ઘટાડા છતાં મુખ્ય સૂચકાંકો 5-6 ટકા ઘટ્યા હતા. 23 જાન્યુઆરી, 2024 પછી પ્રથમ વખત, નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં સૌથી મોટો ઇન્ટ્રાડે ઘટાડો નોંધાયો હતો. ખાસ વાત એ છે કે છેલ્લા 35 ટ્રેડિંગ સેશનમાંથી 25માં ઈન્ડેક્સમાં ઘટાડો થયો છે.