નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કરદાતાઓને મોટી રાહત આપતા નાણાંકીય વર્। 2018-19 માટે રિવાઈઝ્ડ અને ઓરિજનલ રિટર્ન દાખલ કરવાની તારીખમાં બુધવારે એક મહિનો વધારીને 31 જુલાઈ અને 2019-20નું રીટર્ન ભરવા માટે 30 નવેમ્બર, 2020 કરી છે. ઉપરાંત આધાર કાર્ડને પાન સાથે જોડવાની તારીખ પણ વધારીને 31 માર્ચ 2021 સુધી કરી છે.


સીબીડીટીએ એક નોટિફિકેશન દ્વારા 2019-20 દરમિયાન ટેક્સ છૂટ મેળવવા માટે જુદી જુદી યોજનાઓમાં રોકાણ માટેની તારીખ પણ એક મહિનો વધારીને 31 જુલાઈ 2020 કરી છે. આ રીતે કરદાતા આવકવેરાની કલમ 80 સી, 80ડી અને 80જી અંતર્ગત 31 જુલાઈ 2020 સુધી રોકાણ કરી તેના પર નાણાંકીય વર્ષ 2019-20માં છૂટનો દાવો કરી શકે છે.

આ ઉપરાંત સરકારે પાન-આધાર લિંક કરવાની તારીખને પણ આગળ વધારીને 31 માર્ચ 2021 કરી દીધી છે. આવક વિભાગે આ સાથે જ નાના અને મધ્યમ કરદાતા કે, જેની સેલ્ફ અસેસમેંટ ટેક્સની દેવાદારી 1 લાખ રૂપિયાથી ઓછી છે અને તેમના માટે ટેક્સ પેમેંટની તારીખ 30 નવેમ્બર 2020 કરી દીધી છે.

તો વળી 1 લાખથી વધારે ચુકવણી માટે ડેડલાઈનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સીબીડીટીએ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી તારીખ આગળ વધારી છે.

સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે એડવાન્સ ટેક્સની ચુકવણી માટે તારીખને આગળ વધારી 30 જૂન 2020 કરી છે. ફોર્મ 16ની પણ અંતિમ તારીખ 10 જૂન 2020ની સમયમર્યાદા વધારીને 30 જૂન 2020 કરી દીધી છે.