નવી દિલ્હીઃ હવે પ્રવાસીઓ માટે તત્કાલ ટિકિટની ઉપલબ્ધતા વધી જશે. રેલવેએ તત્કાલ ટિકિટની માટે વપરાતા ગેરકાયદેસર સોફ્ટવેરને સંપૂર્ણ રીતે નષ્ટ કર્યા છે અને 60 એજન્ટની ધરપકડ કરી છે. આ એજન્ટ જ તત્કાલ ટિકિટને બ્લોક કરવા માટે ગેરકાયદેસર સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા. એક ટોચના અધિકારીએ આ જાણકારી આપી છે.


રેલવે સુરક્ષા દળ (આરપીએફ)ના ડીજી અરૂણ કુમારે કહ્યું કે, ગેરકાયદેસર સોફ્ટવેર બંધ કર્યા બાદ પહેવ પહેલાની સરખામણીએ પ્રવાસીઓને વધારે તત્કાલ ટિકિટ ઉપલબ્ધ કરાવી શકાશે. પહેલા બુકિંગ શરૂ થતા જ એક કે બે મિનિટની અંદર જ પ્રવાસીઓને તત્કાલ ટિકિટ મળી શકતી હતી.

અધિકારીએ સ્પષ્ટ કર્યું કે, એએનએમએસ, એમએસી અને જગુઆર જેવા સોફ્ટવેર ટિકિટ બનાવવા માટે આઈઆરસીટીસીના લોગઇન કેપ્ચા, બુકિંગ કેપ્ચા અને બેંક ઓટોપીને બાયપાસ કરી શકે છે. એક વાસ્તવિત યૂઝરે આ સંપૂર્ણ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

રેલવેના નિયમો અનુસાર, કોઈ પણ એજન્ટ ગેરકાયદેસર રીતે રેલવે ટિકિટ બુક ન કરી શકે. છેલ્લા 2 મહિનામાં RPF અધિકારીઓએ આવા લગભગ 60 ગેરકાયદે એજન્ટ્સ પર કાર્યવાહી કરી છે, જે આ સોફ્ટવેરની મદદથી ટિકિટ બુક કરતા હતા. આ કારણથી સામાન્ય લોકોને તત્કાલ ટિકિટ બુક કરવા માટે પરેશાનીઓનો સામનો કરવો પડતો હતો.

અરૂણ કુમારે આજે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, આ સોફ્ટવેરના ટોપ ઓપરેટર્સની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. આ સોફ્ટવેરની મદદથી વાર્ષિક 50થી 100 કરોડનો ધંધો કરવામાં આવતો હતો. તેમણે કહ્યું કે, કોલકાતાના એક વ્યક્તિ સહિત સાત લોકોને આઠ ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. એક અન્ય વ્યક્તિ શમશેરની લખનઉથી ધરપકડ કરવામાં આવી હતી.