નવી દિલ્હીઃ જેટ એરવેઝ ફરીથી ઉડાણ ભરવાની સંભાવનાઓ પુરી રીતે ખત્મ થતી જોવા મળી રહી છે. વાસ્તવમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ એનસીએલટીમાં કંપની વિરુદ્ધ નાદારી અરજીની પ્રક્રિયા શરૂ કરવાની અપીલ દાખલ કરી હતી. હવે એનસીએલટીએ જેટ એરવેઝ વિરુદ્ધ ઇન્સોલ્વેન્સી એન્ડ બૈન્કરપ્સી કોડની કલમ સાત હેઠળ એસબીઆઇની નાદારી અરજીનો સ્વીકાર કરી લીધો છે.


એનસીએલટીએ રિઝોલ્યુશન પ્રોફેશનલ્સે નાદારી પ્રક્રિયાને ત્રણ મહિનાની અંદર પુરી કરવાના નિર્દેશ આપ્યા છે. મામલાની આગામી સુનાવણી પાંચ જુલાઇના રોજ થશે. વાસ્તવમાં એસબીઆઇની આગેવાનીમાં બેન્કોના જૂથે જેટ એરવેઝના ભવિષ્યને લઇને બેઠક કરી હતી. આ બેઠકમાં એરલાઇન્સને ફરીથી શરૂ કરવા માટેના પ્રયત્નો છોડી દીધા હતા. બેન્કોના જૂથે જેટ એરવેઝમાં ફસાયેલી પોતાની લોનના સમાધાન મામલામાં ઇન્સોલ્વેન્સી એન્ડ બૈન્કરપ્સી કોડ હેઠળ કાર્યવાહી માટે એનસીએલટીમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો.

એતિહાદ-હિંદુજાએ એરલાઇનમાં રસ દાખવ્યો હતો પરંતુ તેમના તરફથી કોઇ સચોટ પ્રસ્તાવ મળ્યો નહોતો. આ કારણે બેન્કોએ સોમવારે થયેલી બેઠકમાં એરલાઇન મામલાને એનસીએલટીમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો.  નોંધનીય છે કે બેન્કોએ એરલાઇન પાસેથી 8000 કરોડ રૂપિયા વસૂલવાના છે. જેટ એરવેઝ 17 એપ્રિલથી બંધ છે.