નવી દિલ્હીઃ એરિક્સનને બાકીની રકમ ચૂકવવા માટે અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટ દ્વારા આપરવામાં આવેલ સમય મર્યાદા પૂરી થવાને આડે હવે થોડા જ દિવસ બાકી છે. ત્યારે એનસીએલટીએ શુક્રવારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને 259 કરોડ રૂપિયાનું આવકવેરા રિફંડ જારી કરવાની ના પાડી દીધી છે. એનસીએલટીએ કહ્યું કે, આ તેના અધિકાર ક્ષેત્રમાં નથી આવતું.


આરકોમ આ રકમ દ્વારા એરિક્સનને ચૂકવણી માગતું હતું. સુપ્રીમ કોર્ટે આરકોમ ગ્રુપને એરિક્સનના 453 કરોડ રૂપિયા ચાર સપ્તાહમાં એટલે કે 19 માર્ચ સુધી ચૂકવવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો અનિલ અંબાણી આમ કરવામાં નિષ્ફળ જાય તો તેને જેલ જવું પડશે.

એનસીએલટીના ચેરમેન ન્યાયમૂર્તિ એસ. જે. મુખોપાધ્યાય અને સભ્ય ન્યાયમૂર્તિ બંસી લાલ ભટ્ટની બેંચે કહ્યું, નાદારી અને ઋણ શોધન અક્ષમતા સંહિતાની કલમ 61 અંતર્ગત થયેલ અપીલમાં કોઈપણ પક્ષને નિવેડા માટે આદેશ ન આપી શકાય. ખાસ કરીને ત્રીજા પક્ષને આમ કરવા માટે ન કહી શકાય જેના કારણે અન્ય પક્ષોની વચ્ચે નિવારણ થઈ શકે.

બેન્ચે કહ્યું કે, આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. એનસીએલટી સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ આદેશ ન આપે ત્યાં સુધી 30 મે, 2018ના વચગાળાના આદેશને હટાવશે નહીં અને ન તો કોઈ રકમ પરત કરવા માટે વચગાળાનો કોઈ આદેશ જારી ન કરી શકે. આરકોમએ એનસીએલટીમાં અરજી કરી હતી કે એસબીઆઈને આવકવેરા રિફંડની 259.22 કરોડ રૂપિયાની રકમ જારી કરવાના નિર્દેશ આપવા આગ્રહ કર્યો હતો.

એસબીઆઈ અને અન્ય લેણદારોએ આરકોમના આ નિર્ણયનો વિરોધ કર્યો. આરકોમના વકીલ કપિલ સિબ્બલે સુનાવણી દરમિયાન કહ્યું કે, કંપની એરિક્સનને 453 કરોડ રૂપિયા ચૂકવવા માટે બાકીની રકમની લોન લેશે. આરકોમ પહેલા જ એરિક્સનને 118 કરોડ રૂપિયાની ચૂકવણી કરી ચૂકી છે.