New Insurance Companies in Market: જો તમે ટૂંક સમયમાં વીમા પોલિસી લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. ભારતીય વીમા બજારમાં આગામી થોડા દિવસોમાં નવી વીમા પ્રોડક્ટ્સ લોન્ચ થઈ શકે છે. હવે માર્કેટમાં કુલ 18 નવી વીમા કંપનીઓ આવવાની ધારણા છે. CNBC-TV18 સાથે વાત કરતાં, દેશમાં વીમા સંબંધિત ઉત્પાદનોનું નિયમન કરતી સંસ્થા IRDAIના પ્રમુખ દેબાશિષ પાંડાએ જણાવ્યું છે કે દેશમાં ટૂંક સમયમાં 18 નવી વીમા કંપનીઓ આવી શકે છે. IRDAI આ બાબતે નવું લાઇસન્સ આપી શકે છે. કંપનીઓને આ સામાન્ય લાઇસન્સ આપવામાં આવશે જેમાં તેઓ તેમના જીવન વીમા ઉત્પાદનો અને સામાન્ય વીમા ઉત્પાદનો બજારમાં લોન્ચ કરી શકશે.


છેલ્લી વીમા કંપનીને 2017માં મંજુરી મળી હતી


IRDAIના અધ્યક્ષ દેબાશીષ પાંડાએ જણાવ્યું કે દેશમાં છેલ્લી વખત નવી વીમા કંપનીને વર્ષ 2017માં પરવાનગી મળી હતી. 5 વર્ષ બાદ નવી વીમા કંપની Kshema જનરલ ઈન્સ્યોરન્સને મંજૂરી મળી છે. તેની સાથે હવે આગામી સમયમાં અન્ય કંપનીઓને પણ મંજૂરી મળી શકે છે. તેમણે કહ્યું કે હાલમાં IRDAI પાસે કુલ 18 નવી વીમા કંપનીની દરખાસ્તો પાઇપલાઇનમાં છે.


આવી સ્થિતિમાં, જો આ તમામ કંપનીઓને મંજૂરી મળી જશે, તો બજારમાં ગ્રાહકો માટે ઘણા નવા ઉત્પાદનો અને કંપનીઓના વિકલ્પો વધી જશે. તમને જણાવી દઈએ કે આની સાથે IRDAI વીમા કંપનીઓ માટે 100 કરોડ રૂપિયાની ન્યૂનતમ મૂડીના નિયમમાં પણ રાહત આપી શકે છે. તેનાથી ગ્રાહકો અને આ કંપનીઓ બંનેને ફાયદો થઈ શકે છે.


નવી વીમા કંપનીઓથી શું ફાયદો થશે?


જો IRDAI આ 18 કંપનીઓ માટે નિયમોમાં ફેરફાર કરીને રૂ. 100 કરોડની લઘુત્તમ મૂડીના નિયમને નાબૂદ કરે છે, તો આવી સ્થિતિમાં નાની, મધ્યમ કંપનીઓને વીમા ક્ષેત્રમાં સારું કામ કરવાની મંજૂરી મળશે. આ સાથે દેશના દરેક વર્ગ સુધી વીમાની પહોંચ વધશે. વીમા ક્ષેત્રમાં સ્પર્ધા વધશે અને ગ્રાહકોને તેનો સીધો લાભ મળશે. ગ્રાહકોને વધુ વિકલ્પો સાથે પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ અને વિવિધ ઑફર્સનો લાભ મળશે. આ સાથે તમને જણાવી દઈએ કે IRDAI ઈન્શ્યોરન્સ સેક્ટરમાં 100 ટકા સુધી FDIને મંજૂરી આપી શકાય છે. અત્યારે તેની મર્યાદા 74 ટકા છે.