New Pension Rule: કેન્દ્રની મોદી સરકાર દ્વારા સરકારી મહિલા કર્મચારીઓના પેન્શનને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ પછી મહિલા સરકારી કર્મચારીઓ તેમના બાળકોને ફેમિલી પેન્શન માટે નોમિનેટ કરી શકશે. મહિલા કર્મચારીઓ માટે આને મોટી રાહત માનવામાં આવી રહી છે. આ સાથે હવે તેમના બાળકો માટે પેન્શન માટે નોમિની બનવું સરળ બનશે.


અગાઉ, વર્તમાન સરકારી કર્મચારી અથવા પેન્શનર સરકારી કર્મચારીના મૃત્યુ પર, તેના જીવનસાથીને પેન્શન આપવામાં આવે છે. પરિવારના અન્ય કોઈપણ સભ્ય (બાળકો સહિત) માત્ર ત્યારે જ પેન્શન માટે પાત્ર બની શકે છે જો સરકારી કર્મચારીના જીવનસાથીનું મૃત્યુ થાય અથવા કોઈપણ કારણોસર અયોગ્ય જાહેર કરવામાં આવે. તમને જણાવી દઈએ કે, સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) રૂલ્સ 2021 હેઠળ સરકારી કર્મચારી અથવા પેન્શનરનાં મૃત્યુ પછી આશ્રિતોને પેન્શન આપવાની જોગવાઈ છે.


DOPPW એટલે કે પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે કહ્યું કે નવો નિયમ મહિલા કર્મચારીઓને પેન્શન માટે પતિને બદલે બાળકોને નોમિની બનાવવાની મંજૂરી આપે છે. ડીઓપીપીડબલ્યુ સેક્રેટરી વી શ્રીનિવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની સલાહ બાદ મહિલા કર્મચારીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુધારો મહિલા કર્મચારીઓને સશક્ત બનાવશે.


DOPPWએ પોતાના આદેશમાં કહ્યું છે કે જે મહિલા સરકારી કર્મચારીઓની છૂટાછેડાની અરજી પેન્ડિંગ છે અથવા તેમના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસા અથવા દહેજનો કેસ દાખલ કર્યો છે, તો આવી મહિલા સરકારી કર્મચારીઓ તેમના બાળકોને તેમના પેન્શનમાં નોમિની બનાવી શકે છે. તમને જણાવી દઈએ કે, નવા નિયમ હેઠળ સરકારી મહિલા કર્મચારીઓ તેમના એકથી વધુ બાળકોને પેન્શનમાં નોમિની બનાવી શકે છે. તેનાથી પારિવારિક વિવાદોમાં ફસાયેલી મહિલાઓને ઘણો ફાયદો થશે.


સરકારની જાહેરાત બાદ જો મહિલાનો પતિ જીવિત હોય અને તેને એક જ બાળક હોય તો તે બાળકને પણ ફેમિલી પેન્શન માટે પ્રાથમિકતા મળશે. સરકારનું માનવું છે કે આનાથી મહિલાઓ વધુ આત્મનિર્ભર બનશે અને તેમને વધુ સમર્થન મળશે. ખાસ વાત એ છે કે આ નિર્ણય પહેલા મંત્રાલયને મહિલા કર્મચારીઓ તરફથી તેમના બાળકોને પેન્શન માટે નોમિની બનાવવા અંગે ઘણા પત્રો અને ઈમેલ મળી રહ્યા હતા. જેના કારણે સરકાર અને મંત્રાલયે આ નિર્ણય લેવો પડ્યો હતો.